Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ હિંસા પર મોટું નિવેદન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા ધામમાં ૪૩માં રામાયણ મેળાના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું કે, સંભલ અને બાંગ્લાદેશની ઘટના એકસમાન છે. બંને ઘટનાઓમાં સામેલ લોકોનું DNA એક છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું, યાદ કરો ૫૦૦ વર્ષ પહેલા બાબરના માણસોએ અયોધ્યા કુંભમાં શું કર્યું હતું. સંભલમાં પણ એવું જ થયું હતું અને બાંગ્લાદેશમાં પણ એવું જ થઈ રહ્યું છે. ત્રણેયની પ્રકૃતિ અને તેમના DNA એક છે. જો કોઈ માને છે કે બાંગ્લાદેશમાં આવું થઈ રહ્યું છે તો એ જ તત્વો અહીં પણ તમને સોંપવા માટે બેઠા છે. તેમણે સામાજિક એકતાને તોડવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ મુદ્દે વાત કરનારા કેટલાક લોકો એવા છે જે જેમની પાસે વિદેશમાં સંપત્તિ છે. જો અહીં કોઈ સંકટ આવશે તો તેઓ ભાગી જશે અને બીજાને અહીં મરવા માટે છોડી દેશે.
સરયુના તટ પર સ્થિત રામ કથા પાર્કમાં ચાર દિવસીય રામાયણ મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચિત્રકૂટમાં રામાયણ મેળાની કલ્પના કરનારા મહાન સમાજવાદી વિચારક ડૉ. રામ મનોહર લોહિયાને યાદ કર્યા. તેમણે કહ્યું કે, લોહિયા મંદિરમાં નહોતા જતાં પરંતુ તેઓ શ્રી રામ, કૃષ્ણ અને શિવના સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વને સમજતા અને સ્વીકાર કરતા હતા. ડો.લોહિયાની આ ભાવનાથી વિપરીત આજના સમાજવાદીઓ પરિવારવાદી બની ગયા છે. જો તેમને ગુનેગારોનું રક્ષણ ન મળે તો તેઓ પાણી વગરની માછલીની જેમ તડપે છે, લોહિયાના નામે રાજકારણ કરનારા લોકો લોહિયાની વાતો તો કરે છે, પરંતુ લોહિયાનો એક પણ આદર્શ સ્વીકારતા નથી.