Last Updated on by Sampurna Samachar
“ફડણવીસે પોતાના શબ્દોનું માન ન રાખી અમને નજર અંદાજ કર્યા છે”
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ અને કેબિનેટ વિસ્તરણ અંગે ‘મહાયુતિ ગઠબંધન’ ચાલી રહેલા વિવાદનો સુખઃદ અંત આવ્યો છે. ભાજપે શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેને મનાવી લીધા છે અને ફડણવીસ સરકારના મંત્રીમંડળ પહેલું વિસ્તરણ થઈ ગયું છે, જેમાં ૩૯ ધારાસભ્યોએ શપથગ્રહણ કર્યા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાથી પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા રામદાસ આઠવલેને મહાયુતિ સરકારમાં મંત્રી પદ મળ્યું નથી, જેના કારણે તેઓ નારાજ થયા છે અને કહ્યું છે કે, ‘અમારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી.
કેન્દ્રીય મંત્રી આઠવલેને રાજ્યમાં એકપણ મંત્રી પદ મળતા નારાજ થયા છે. તેમણે કહ્યું કે, ‘અમારી પાર્ટી મોટી પાર્ટી છે. અમારી પાર્ટીને ઓછામાં ઓછા બે મંત્રી પદ આપવા જ જોઈએ. અમારા કાર્યકર્તાઓ નારાજ થયા છે. અમારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી. અમારો એકપણ સાંસદ ન હોવા છતાં મને કેબિનેટ પદ આપવામાં આવ્યું, જે માટે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. હવે અમે પણ બે મંત્રી પદની માંગણી કરી રહ્યા છીએ.’
તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હું મંત્રી પદની માંગણી મુદ્દે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરીશ. દેવેન્દ્ર ફડણવીસે મંત્રી પદ આપવાનું કહ્યું હતું. ફડણવીસે પોતાના શબ્દોનું માન ન રાખ્યું. તેઓ અમને નજર અંદાજ કરી રહ્યા છે. અમારી પાર્ટી નાની છે, પરંતુ તમે મોટી થવા નથી દેતા.’
ઉલ્લેખનીય છે કે, નાગપુરના રાજભવનમાં મહાયુતિ સરકારના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણને ૩૯ નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. શપથ સમારોહમાં ભાજપના ખાતામાં ૧૯ ધારાસભ્ય મંત્રી બન્યા. આ સિવાય શિવસેનાના કોટાથી ૧૧, જ્યારે NCP ના કોટાથી ૯ ધારાસભ્યોએ શપથ લીધા છે. આમ કુલ ૩૯ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે.