Last Updated on by Sampurna Samachar
વંથલી હાઈવે પર રખડતા ઢોરે લીધો નિર્દોષનો ભોગ
આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોક અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ જિલ્લામાં વધુ એક વખત રખડતા ઢોરે એક નિર્દોષ માનવીનો ભોગ લીધો છે. વંથલી હાઈવે પર દિલાવરનગર પાસે રખડતા ઢોર આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોક અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ગોપાલ વામજા નામનો યુવક પોતાની બાઈક લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવરનગર પાસે અચાનક એક ધણખૂટ હાઈવે પર આડો ઉતર્યો હતો. પૂરપાટ ઝડપે જતી બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
વામજા પરિવાર પર આભ ફાટ્યું
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ગોપાલ વામજા રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
એક આશાસ્પદ યુવકના અચાનક અવસાનથી વામજા પરિવાર પર આભ ફાટ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર રખડતા ઢોરના કારણે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.