વિડીયો વાયરલ થયા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનની ભજનલાલ સરકાર અવારનવાર આક્ષેપો અને પોતાના જ પક્ષના સભ્યો દ્વારા આકરા પ્રહારોનો સામનો કરી રહી છે, એવામાં તેમના એક મંત્રી અવિનાશ ગેહલોતનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ પોતાની જ સરકાર પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતાં. જોકે, ફેક્ટ ચેકમાં મામલો કંઈક અલગ જ હોવાની સ્પષ્ટતા આપી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મંત્રી કહી રહ્યા છે કે, ‘મ્હારી સરકાર તો પર્ચી સે હી ચલતી હૈ.’ એટલે મારી સરકાર તો ચિઠ્ઠીની ચાકર છે આ વીડિયો વાયરલ થતાં જ કોંગ્રેસે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે, કોંગ્રેસ અવારનવાર ભાજપ સરકાર ચિઠ્ઠીની ચાકર હોવાનો આરોપ મૂકતી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અધૂરો હોવાનું જણાવતાં અવિનાશ ગેહલોતે સ્પષ્ટતા આપી કે, તેમણે વસંત પંચમી નિમિત્તે આયોજિત એક જનસભામાં સંબોધન આપતી વખતે એક ગ્રામવાસી મારી પાસે પોતાની માંગ સાથે એક ચિઠ્ઠી લઈને આવ્યા હતાં. તે સમયે મેં સહજમાં મજાક કરતાં કહ્યું હતું કે, તમે ચિઠ્ઠી લઈને આવ્યા છો, વિપક્ષ પણ કહે છે કે, ભજનલાલ સરકાર ચિઠ્ઠી પર કામ કરે છે, લાવો તમારૂ પણ કામ કરી દઈશું. આ માત્ર એક મજાક હતી.
પરંતુ સોશિયલ મીડિયા પર મારા આ સંબોધનનો વીડિયો મારી-મચોડીને રજૂ કરવામાં આવ્યો છે. તે તદ્દન ખોટું છે. ભજનલાલ સરકારના મંત્રીઓ નારાજ હોવાનો સિલસિલો સતત ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી એસઆઈની ભરતી રદ ન કરવા બદલ ભાજપના ધારાસભ્ય કિરોડીલાલ મીણા પર સરકાર પર નારાજ છે.
ભાજપના અનેક ધારાસભ્યો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાના મુદ્દાઓ પર હોબાળો કરી રહ્યા છે. હાલમાં જ ભાજપના ધારાસભ્ય બાલ મુકુંદ આચાર્યે વિધાનસભામાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવેલા લોકોને બહાર હાંકી કાઢવાની માંગ કરી હતી. વિધાનસભા બજેટ સેશનમાં ભાજપના વરિષ્ઠ નેતા દેવીસિંહ ભાટીએ પણ પોતાની માગ રજૂ કરતાં છ ફેબ્રુઆરીના રોજ ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ભાટીએ આઈપીએસ શિવરાનને પ્રમોશન આપી બિકાનેર મોકલવા બદલ વિરોધ દર્શાવ્યો છે. ભાટીએ આઈપીએસ પ્યારેલાલ પર ભાજપ ઉમેદવારને હરાવવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ જયપુર સિવિલ લાઈનમાંથી ધારાસભ્ય ગોપાલ શર્માએ પણ જયપુરના શાસ્ત્રી નગર વિસ્તારની ભટ્ટા કોલોનીમાંથી હિન્દુઓના પલાયન મુદ્દે પ્રદર્શન અને રેલી યોજી હતી. ભાજપ નેતા વિજય બૈંસલાએ પણ ભાજપ સરકાર વિરૂદ્ધ બળવો પોકાર્યો છે. જેમાં ગુર્જર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પર હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેઓ રાજ્ય સરકાર પર કેસને પાછા ખેંચવાનું વચન પૂરુ કરવા દબાણ કરી રહ્યા છે.