રાજકોટ શહેરમાં મનપાના ચોપડે શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

માત્ર 15 દિવસમાં 1,૦૦૦ થી વધુ લોકો શ્વાન કરડવાના ભોગ બન્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાજકોટ શહેરમાં વર્ષના શરૂઆતના મહિનામાં શ્વાન કરડવાના ત્રાસથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેમાં શહેરમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી શ્વાનોના ત્રાસની ફરિયાદો ઉઠી રહી છે.

કાયદાકીય જોગવાઈઓ મુજબ, શ્વાનને પકડીને ઓપરેશન કર્યા બાદ તેને મૂળ જગ્યાએ છોડી દેવામાં આવે છે, જેના કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. ઠંડીની ઋતુમાં શ્વાન કરડવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૪ માં જ્યાં ૧૨,૦૦૦ કેસ નોંધાયા હતા, ત્યાં ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ ૧,૦૦૦ થી વધુ લોકોને શેરીઓમાં રખડતા શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઠંડી અને બ્રિડિંગની સીઝનના કારણે શ્વાન વધુ આક્રમક બન્યા છે.

રાજકોટ મનપા તંત્ર દ્વારા શ્વાનની વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે વ્યંધિકરણના ઓપરેશન અને રખડતા શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ પાછળ દર વર્ષે મોટો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં, શ્વાન કરડવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ માટે શ્વાનોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે કે પછી તેઓ વધુ હિંસક બની રહ્યા છે, તે એક તપાસનો વિષય છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં એટલે કે તા. ૧ થી ૧૫ સુધીમાં શહેરમાં ૧૦૦૬ લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા છે. આ આંકડો ફક્ત એવા લોકોનો છે જેમણે કૂતરું કરડ્યા બાદ મનપા આરોગ્ય કેન્દ્રોમાં ઇન્જેક્શન અને સારવાર લીધી છે. જો અન્ય હોસ્પિટલોમાં સારવાર લેનારા લોકોનો આંકડો સામે આવે તો આ કેસની સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે.

છેલ્લા ૧૫ દિવસમાં રાજકોટ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દરરોજના સરેરાશ ૭૦ થી વધુ શ્વાન કરડવાના કેસો નોંધાયા છે અને કુલ ૧૦૦૬ જેટલા કેસો સામે આવ્યા છે. હાલમાં તમામ આરોગ્ય કેન્દ્રોમાં શ્વાન કરડ્યા બાદ આપવામાં આવતા ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેક્શનના ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે, જ્યારે મનપા આરોગ્ય કેન્દ્રોમાં આ ઇન્જેક્શન તદ્દન મફત આપવામાં આવે છે. જેના કારણે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભીડ વધુ રહે છે.

રાજકોટના રેસકોર્સ, પૂજારા પ્લોટ, ૮૦ ફૂટ રોડ, ર્નિમલા રોડ, હનુમાનમઢી ચોક, મવડી, કુવાડવા રોડ, મોટામૌવા, જંગલેશ્વર, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ સતત રહે છે. જેના કારણે પરિવારોમાં બાળકો અને વડીલોની ચિંતા વધી રહી છે. આવા વિસ્તારોમાં શ્વાનપ્રેમીઓ દ્વારા દૂધથી માંડીને બિસ્કીટના વિતરણના કાયમી સ્થળો દૂર કરવામાં આવે તો શ્વાનોના અડ્ડા બંધ થઈ શકે છે. અન્યથા, લોકોના ઘર અને વિસ્તાર પાસે આવો શ્વાનપ્રેમ અન્ય લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

રાજકોટ મનપાના વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે શિયાળામાં પૂરતો ખોરાક ન મળવો, વાતાવરણમાં બદલાવ થવાથી શ્વાનોના વર્તનમાં ફેરફાર થવો અને હાલમાં બ્રિડિંગ સીઝન પૂરી થઈ હોવાથી બચ્ચાના રક્ષણ માટે માતા શ્વાન વધુ આક્રમક બને છે. આવા કારણોસર શિયાળામાં શ્વાન કરડવાના બનાવો વધે છે.

ગત વર્ષે શહેરની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મળીને કુલ ૧૨,૧૫૬ ડોગ બાઈટના કેસ નોંધાયા હતા, જેની સામે ચાલુ વર્ષે પ્રથમ ૧૫ દિવસમાં જ ૧૦૦૬ કેસ નોંધાયા છે.રાજકોટ મનપા દ્વારા શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં માધાપર ખાતે શ્વાનોને શાંત કરવા માટે ખાસ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

મનપા દ્વારા શ્વાનોનું હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવે છે અને વસ્તી વધે નહીં તે માટે ખસીકરણ પણ કરવામાં આવે છે. આમ છતાં, જે વિસ્તારમાંથી ફરિયાદ મળે ત્યાં અમારી ટીમો દ્વારા શ્વાનને પકડીને માધાપર ખાતે આવેલા ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં મૂકવામાં આવે છે અને ૧૦-૧૫ દિવસ ત્યાં રાખીને શાંત કર્યા બાદ નિયમ મુજબ તે સ્થળે પાછા મૂકવામાં આવે છે. લોકો પણ શ્વાનને ખોરાક આપવા સહિતની બાબતોમાં ખાસ સાવધાની રાખે તે જરૂરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.