Last Updated on by Sampurna Samachar
વિજયનગર નેશનલ હાઈવે પર ખાડાના કારણે ટ્રેક્ટર પલટ્યું
રોડની સાઈડમાં માટીકામનો અભાવ હોવાથી નાના સરખા વળાંક કે ખાડામાં પણ વાહન પલટી જવાનું જોખમ વધી જાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પડેલા મોટા ખાડાઓના કારણે એક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાઈવેની ખરાબ હાલત અને તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, વિજયનગર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરના ચાલકે અચાનક રોડ પર આવેલા મોટા ખાડાના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. હાઈવેની સાઈડમાં પૂરતું માટીકામ ન હોવાને કારણે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેક્ટર માર્ગની બાજુમાં ફંગોળાયું હતું, જોકે ચાલકનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
વાહન ચાલકોને રસ્તાનો અંદાજ આવતો નથી
આ અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, હાઈવે પર જરૂરી લાઇન પટ્ટા કે રિફ્લેક્ટર પટ્ટા લગાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે કે ધુમ્મસના વાતાવરણમાં વાહન ચાલકોને રસ્તાનો અંદાજ આવતો નથી. વધુમાં, રોડની સાઈડમાં માટીકામનો અભાવ હોવાથી નાના સરખા વળાંક કે ખાડામાં પણ વાહન પલટી જવાનું જોખમ વધી જાય છે.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાઓનું સમારકામ કરવામાં આવે અને સુરક્ષાના સાધનો જેવા કે રિફ્લેક્ટર અને લાઇન પટ્ટા લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈના જીવ ન જાય.