Last Updated on by Sampurna Samachar
‘મન કી બાત’ના ૧૨૬મા એપિસોડમાં દેશને સંબોધન કર્યું
છઠ પૂજા UNESCO યાદીમાં સામેલ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૨૬મા એપિસોડમાં દેશને સંબોધન કર્યું. તેમણે ભારતની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટેના પ્રયાસો, નારીશક્તિ અને નૌસેનાના પરાક્રમની પ્રશંસા, તેમજ સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો સંદેશ આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૧૨૬મા એપિસોડથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે દેશની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવાની, સ્વદેશી ઉત્પાદનોને અપનાવવાની અને નારી શક્તિ સાથે નૌસેનાના પરાક્રમની પ્રશંસા કરી.
સ્વદેશી અને ખાદી અપનાવવા પર ભાર મુક્યો
PM મોદીએ ભારતની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર લઈ જવાના સંકલ્પ પર વાત કરી. પીએમએ ખુશી વ્યક્ત કરી કે ભારત સરકાર છઠ મહાપર્વને UNESCO ની અમૂર્ત સાંસ્કૃતિક વારસા યાદીમાં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, “જ્યારે છઠ પૂજા UNESCO યાદીમાં સામેલ થશે, ત્યારે દુનિયાના દરેક ખૂણે લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે.”
તેમણે કહ્યું કે, તહેવારો અમારી સંસ્કૃતિને જીવંત રાખે છે. છઠ પૂજા સૂર્ય દેવને સમર્પિત એક પવિત્ર તહેવાર છે, જે હવે માત્ર દેશ જ નહીં, પરંતુ વૈશ્વિક તહેવાર બની રહ્યો છે. PM એ આ પણ યાદ અપાવ્યું કે સરકારના આવા જ પ્રયાસોથી થોડા સમય પહેલા કોલકાતાની દુર્ગા પૂજાને પણ UNESCO ની યાદીમાં સ્થાન મળ્યું હતું.
PM મોદીએ કોકિલા કંઠ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને સ્વદેશી ને અપનાવવાનું આહ્વાન કર્યું. PM એ કહ્યું કે, લતા દીદીના ગીતો માનવીય ભાવનાઓને ઝકઝોર કરનારા છે. તેમના દેશભક્તિ ગીતો પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે લતા દીદી દર વર્ષે તેમને રાખડી મોકલવાનું ક્યારેય ભૂલતા નહોતા.
PM મોદીએ ૨ ઓક્ટોબર, ગાંધી જયંતીનો ઉલ્લેખ કરતા સ્વદેશી અને ખાદી અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આઝાદી પછી ખાદીનું આકર્ષણ ઓછું થઈ ગયું હતું, પરંતુ છેલ્લા ૧૧ વર્ષમાં તેના વેચાણમાં ઘણો વધારો થયો છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ ૨ ઓક્ટોબરે કંઈક ખાદી ઉત્પાદન ખરીદે અને ગર્વથી કહે કે આ સ્વદેશી છે. સાથે જ #VocalforLocal સાથે સોશિયલ મીડિયા પર તેને શેર પણ કરે.