Last Updated on by Sampurna Samachar
જામનગરમાં વનતારાની મુલાકાત લીધી
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. જામનગરના વનતારાની મુલાકાત બાદ તેઓ સીધા સોમનાથ પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથ (SOMNATH) મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી.
સોમનાથ પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી થોડી મિનિટો માટે સર્કિટ હાઉસમાં ફ્રેશ થયા અને ત્યારબાદ તેઓ સીધા જ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં પ્રવેશ્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, મંદિરના વિદ્વાન પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે સંસ્કૃત યુનિવર્સિટી પાઠશાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
વિશેષ પૂજા-અર્ચના કરી
PM મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં જલાભિષેક કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી. તેમણે સોમનાથ મંદિરના શિખર પર સ્થાપિત થનારા ૧૦૦ સુવર્ણ કળશની પણ પૂજા કરી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ માર્કન્ડેય પૂજા અને ધ્વજ પૂજામાં પણ ભાગ લીધો હતો. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના સંપન્ન કર્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાસણગીર જવા રવાના થયા હતા. તેમની આ મુલાકાત દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.