Last Updated on by Sampurna Samachar
પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો
જે રીતે કોરોનામાં દેશ એકજૂથ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો એવી જ રીતે એકજૂથ રહેવું પડશે : મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટ મુદ્દે નિવેદન આપતી વખતે લોકોને એલર્ટ કર્યા હતા. જેમાં પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે, જે રીતે કોરોનામાં દેશ એકજૂથ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો એવી જ રીતે હાલના સંકટમાં પણ આપણે એકજૂથ રહેવું પડશે. વડાપ્રધાને કહ્યું કે, યુદ્ધના કારણે લાંબા સમય સુધી સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. એટલે બધાએ તૈયાર રહેવું પડશે. આપણે ધીરજ અને સંયમ સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરવાનો છે. પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…

યુદ્ધના સંકટ સમયે ફાયદો ઉઠાવનારા લોકોને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અફવાને સફળ થવા નહીં દઈએ. સંગ્રહખોરો સામે સરકાર કડક પગલા લેશે અને તેમની સામે સખત કાર્યવાહી થશે. પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, એટલે આપણે બહુ સાવધાન અને સતર્ક પણ રહેવાનું છે. આ પ્રકારના લોકોની કોશિશ સફળ નથી થવા દેવાની…
દેશમાં ૫૩ લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર છે
લોકસભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષે ભારત માટે અનેક અણધાર્યા પડકારો ઉભા કર્યા છે. જો કે, સરકાર સતર્ક છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછત ન રહે અને નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે પગલાં લઈ રહી છે. પીએમ મોદીએ ગૃહને માહિતી આપી હતી કે, દેશમાં ૫૩ લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ગેસની ઉપલબ્ધતા દરેક શક્ય માધ્યમ દ્વારા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા દાયકામાં સરકારે ઊર્જા સુરક્ષા અંગે જે પગલાં લીધાં છે તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સુસંગત બન્યા છે. પશ્ચિમ એશિયામાં કટોકટી શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે અને તેની તમામ રાષ્ટ્રોના અર્થતંત્રો અને જાહેર જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ સંઘર્ષે ભારત માટે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. આ પડકારો ફક્ત આર્થિક નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને માનવતાવાદી ચિંતાઓ સાથે પણ સંબંધિત છે.