Last Updated on by Sampurna Samachar
પોસ્ટની ૭૭ લાખ રૂપિયાથી વધુની રકમ બારોબાર ઉચાપત
ચાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોસ્ટ વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટની ૭૭ લાખ રૂપિયાથી વધુની રકમ બારોબાર ઉચાપત કરી છે. તલોદના હરસોલમાં આવેલી પોસ્ટ ઓફિસમાં આ કૌભાંડ આચરાયેલું છે.

ઉપલી કચેરીએ રૂ. ૮૦ લાખની રોકડ મોકલી હતી, જેમાંથી ૭૭ લાખ રૂપિયાની રકમ ગાયબ કરી દેવામાં આવી છે.પોસ્ટ વિભાગના ઉપલી અધિકારીઓને આ વ્યવહારોમાં શંકા લાગતાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન પોસ્ટ ઓફિસમાં ૮૦ લાખ રૂપિયાનાં બદલે માત્ર ૨.૫૨ લાખ રૂપિયાનું જ કેશ મળ્યું. ૭૭.૧૨ લાખ રૂપિયાની રોકડનો કોઈ પત્તો ન મળતા તપાસકર્તા અધિકારીઓ ચોંકી ઉઠ્યા.
પોસ્ટ વિભાગે ચારેય આરોપીઓને ફરજ પરથી મોકૂફ કરી
આ તપાસ દરમ્યાન ખુલ્યું કે આ રકમની ઉચાપત કરવામાં આવી છે, અને આ મામલામાં ચાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તલોદ પોલીસે બે આરોપીઓ શુભમ કર્મબીર રાઠી અને વિપુલ કનૈયાલાલ ભટ્ટની ધરપકડ કરી છે. બાકીના બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોસ્ટ વિભાગે આ ચારેયને ફરજ પરથી મોકૂફ કરી દીધા છે.
આરોપીઓ:
૧. મહેબુબ વલીભાઈ મનસુરી, પોસ્ટ આસિસ્ટન્ટ, હરસોલ
૨. શુભમ કર્મબીર રાઠી, પોસ્ટ આસિસ્ટન્ટ, હરસોલ
૩. વિપુલ કનૈયાલાલ ભટ્ટ, પોસ્ટ આસિસ્ટન્ટ, હરસોલ
૪. નટવર સુરજીભાઈ અસારી, પોસ્ટ માસ્ટર, હરસોલ