Last Updated on by Sampurna Samachar
કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રૂડોના પાયાવિહોણા આરોપોની હવા નીકળી!
કેનેડામાં હવે સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન માર્ક કાર્ની ભારત સાથેના સંબંધો સુધારવા માટે સક્રિય દેખાઈ રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડામાં ભારત સરકારના એજન્ટો દ્વારા થતી કહેવાતી ગુપ્ત પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય દમનને લઈને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. RCMP કમિશનર માઈક ડૂહમેએ સ્પષ્ટ કર્યું છે કે, હાલની માહિતી મુજબ, કેનેડામાં એવી કોઈ ગુપ્ત ગતિવિધિઓ ચાલી રહી નથી. જેના તાર ભારત સરકાર સાથે જોડાયેલા હોય.

એક ટીવી ઈન્ટરવ્યૂમાં ડૂહમેએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દમન સાથે જોડાયેલી જે પણ ફાઇલો અને તપાસ અત્યારે પોલીસ પાસે છે, તેમાં કોઈ વિદેશી સંસ્થા કે દેશની સંડોવણી જોવા મળી નથી. કેનેડામાં એવા લોકો ચોક્કસ છે જે બીજાને ડરાવી-ધમકાવી રહ્યા છે, પરંતુ આ પ્રવૃત્તિઓ કોઈ વિદેશી એજન્સી દ્વારા પ્રાયોજિત હોય તેવું જણાતું નથી.
ભારતે સખત રીતે નકારી કાઢ્યો હતો
જ્યારે તેમને ૨૦૨૪માં આપેલા તેમના જ જૂના નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું. આ મુદ્દે તેમણે કહ્યું કે, તે સમયે જે ફોજદારી તપાસ ચાલી રહી હતી તેના આધારે એજન્ટોની સંડોવણીની વાત કરી હતી. પરંતુ તેમણે સ્વીકાર્યું કે, કોઈ વિશિષ્ટ વિદેશી સંસ્થા સાથે સીધો સંબંધ સ્થાપિત કરવો અત્યંત મુશ્કેલ હોય છે.
કેનેડામાં હવે સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન માર્ક કાર્ની ભારત સાથેના સંબંધો સુધારવા માટે સક્રિય દેખાઈ રહ્યા છે. જૂન ૨૦૨૫ પછી પીએમ માર્ક કાર્ની અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ત્રણ વખત મુલાકાત થઈ ચૂકી છે. બંને દેશોએ સંબંધો સુધારવાની દિશામાં આગળ વધતા પરસ્પર નવા હાઈકમિશનરની નિમણૂક પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં તત્કાલીન પીએમ જસ્ટિન ટ્રૂડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને ભારતે સખત રીતે નકારી કાઢ્યો હતો. ત્યારબાદ ૨૦૨૪માં કેનેડાએ ૬ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને ભારતે પણ વળતી કાર્યવાહીમાં ૬ કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપ્યો હતો. કેનેડાની ગુપ્તચર એજન્સી હજુ પણ ભારત પર નજર રાખી રહી હોવાના અહેવાલો વચ્ચે ચીફનું આ નિવેદન ભારત માટે મોટી રાજદ્વારી જીત સમાન માનવામાં આવે છે.