Last Updated on by Sampurna Samachar
મોદીએ રાજ્યસભામાંથી વિદાય લેતા સંસદ સભ્યોને સંબોધન કર્યું
મલ્લિકાર્જુન એક અનુભવી નેતા છે, જેમણે તેમના જીવનનો અડધાથી વધુ સમય સંસદીય કાર્યવાહીમાં સમર્પિત કર્યો છે : મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાંથી વિદાય લેતા સંસદ સભ્યોને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા અને એનસીપીના શરદ પવારનો ખાસ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ જણાવ્યું કે, આ બધા સભ્યોએ સંસદમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ એવા અનુભવી નેતાઓ છે, જેમણે સંસદીય પ્રણાલીમાં અડધાથી વધુ જીવન સમર્પિત કર્યું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક એવા ગુણ છે જે આપણે બધાએ આ વરિષ્ઠ નેતાઓ પાસેથી અનુસરવા જોઈએ. “હું તેમના યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું, કારણ કે આટલો લાંબો કાર્યકાળ સંસદમાં વિતાવવો એ કોઈ નાનીસુની વાત નથી. પીએમ મોદીએ ઉમેર્યું કે આ ગૃહમાં અસંખ્ય મુદ્દાઓ પર ચર્ચા થાય છે, અને દરેક વ્યક્તિ આ ચર્ચાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
સમાજ અને જાહેર જીવનમાં અર્થપૂર્ણ યોગદાન આપતા રહેશે
આ પ્રક્રિયામાં, વ્યક્તિને કડવા અને મીઠા બંને અનુભવોનો સામનો કરવો પડે છે. જો કે, જ્યારે આવો પ્રસંગ આવે છે, ત્યારે આપણા માટે પક્ષ રેખાઓથી ઉપર ઉઠવું સ્વાભાવિક છે. આપણા બધામાં એક સહિયારી લાગણી ઉદ્ભવે છે – કે આપણા સાથીઓ હવે અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવા માટે આગળ વધી રહ્યા છે.
વડાપ્રધાને તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે, વિદાય લેનારા સભ્યોમાં, કેટલાક એવી આશા સાથે વિદાય લઈ રહ્યા છે કે, તેઓ ફરીથી પાછા ગૃહમાં આવશે. દરમિયાન, અન્ય લોકો અહીં મેળવેલા અનુભવો પોતાની સાથે લઈ રહ્યા છે, અને તેઓ સમાજ અને જાહેર જીવનમાં અર્થપૂર્ણ યોગદાન આપતા રહેશે. જે સભ્યો વિદાય લઈ રહ્યા છે – અને જેઓ કદાચ ફરીથી આ ગૃહમાં પાછા ના પણ ફરે – તેમને હું કહેવા માંગુ છું કે, રાજકારણમાં, ‘પૂર્ણવિરામ’ જેવી કોઈ વસ્તુ નથી હોતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા, મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં પોતાના વિદાય સમારભ પ્રસંગે બોલતા કહ્યું કે, જે લોકો રાજકારણ અને જાહેર જીવનમાં રોકાયેલા છે, રાષ્ટ્રની સેવા કરવાના જુસ્સાથી પ્રેરિત હોય છે તેઓ ક્યારેય થાકતા નથી કે ક્યારેય નિવૃત્તિ લેતા નથી. ભૂતપૂર્વ વડા પ્રધાન અને રાજ્યસભાના સાંસદ એચ.ડી. દેવગૌડા અંગે ખરગેએ કહ્યું કે, “હું દેવેગૌડાજી ને છેલ્લા ૫૪ વર્ષ કરતા પણ વધુ સમયથી ઓળખું છું, અને મેં તેમની સાથે ખૂબ કામ કર્યું છે.
જો કે, પછી શું થયું તેની મને ખબર નથી. તેમણે પ્રેમ અમારી સાથે કર્યો, પરંતુ અંતે લગ્ન મોદી સાહેબ સાથે કર્યા.” આ કથન સાથે પીએમ મોદી પણ ખડખડાટ હસી પડ્યાં હતા. કારણ કે, ચૂંટણી લડતી વખતે દેવગૌડાએ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું. અને પછીથી તેઓ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ સાથે જોડાઈ ગયા હતા.