Last Updated on by Sampurna Samachar
રેલ કાર્યક્રમમાં હાજરી આપવી એ મારુ નસીબ
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા વિશે કરી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના કટરા જિલ્લામાં ભવ્ય ચેનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક પ્રસંગે, કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના સંબોધનમાં કેટલાક રસપ્રદ તથ્યો રજૂ કર્યા, જેને સાંભળીને વડાપ્રધાન મોદી પણ હસી પડ્યા.

CM ઓમર અબ્દુલ્લાએ પોતાના ભાષણની શરૂઆત કરતા જણાવ્યું કે , રેલ કાર્યક્રમોમાં ભાગ લેવો એ તેમનું નસીબ છે. તેમણે કહ્યું, “આને નસીબ કહો કે જ્યારે પણ કોઈ મોટો રેલ કાર્યક્રમ થયો, ત્યારે મને તેમાં જોડાવાનો મોકો મળ્યો. હું અનંતનાગ રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન અને બનિહાલ રેલ ટનલના ઉદ્ઘાટન સમયે પણ હાજર હતો. મારા શાસનના છેલ્લા કાર્યક્રમમાં, હું ૨૦૧૪ માં આ જ જગ્યાએ PM મોદી સાથે હતો.”
PM મોદી દ્વારા રાજ્યનો દરજ્જો મળશે
તેમણે ઉમેર્યું કે, “મોટી વાત એ છે કે તે કાર્યક્રમમાં જે ચાર લોકો હાજર હતા, તે જ ચાર લોકો આજે પણ આ મંચ પર વડાપ્રધાન સાથે બેઠા છે.” આ નિવેદન સાંભળીને વડાપ્રધાન મોદી પણ હસી પડ્યા હતા. ઓમર અબ્દુલ્લાએ પોતાના અગાઉના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું, ” PM મોદી તે સમયે પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. ચૂંટણી પછી તરત જ, તેઓ અહીં આવ્યા અને માતાની કૃપાથી કટરા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને પછી ત્રણ વખત ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા.”
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા વિશે બોલતા, CM અબ્દુલ્લાએ કહ્યું, “કટરા રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન સમયે, એલજી મનોજ સિન્હા રેલ્વે રાજ્યમંત્રી હતા. આ પછી, માતાની કૃપાથી, મનોજ સિન્હાને બઢતી આપવામાં આવી અને મને થોડો ડિમોટ કરવામાં આવ્યો. હું રાજ્યનો વઝીર-એ-આલા હતો, હવે હું કેન્દ્રશાસિત પ્રદેશનો વઝીર-એ-આલા છું.”
જ્યારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના પદભ્રષ્ટ થવાની વાત કરી અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી બનવાનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ ફરીથી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી રજૂ કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “હું માનું છું કે તેને સુધારવામાં વધુ સમય લાગશે નહીં અને જમ્મુ અને કાશ્મીરને પીએમ મોદી દ્વારા રાજ્યનો દરજ્જો મળશે.”
અંતમાં, મુખ્યમંત્રી અબ્દુલ્લાએ ચેનાબ રેલ બ્રિજના મહત્વ પર ભાર મૂકતા કહ્યું, “ઘણા લોકોએ આ રેલનું સ્વપ્ન જોયું હતું. અંગ્રેજોએ પણ કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ તેઓ તે પૂર્ણ કરી શક્યા નહીં. તેમનું સ્વપ્ન જેલમના કિનારે રેલ્વે લાવીને કાશ્મીરને આખા દેશ સાથે જોડવાનું હતું, પરંતુ જે કામ અંગ્રેજો કરી શક્યા નહીં તે વડાપ્રધાન મોદીના સમયમાં પૂર્ણ થયું અને જમ્મુ અને કાશ્મીરની ખીણ દેશના બાકીના ભાગ સાથે જોડાઈ ગઈ.” આ નિવેદન દ્વારા તેમણે કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની સરાહના કરી હતી.