Last Updated on by Sampurna Samachar
ભારતે અગાઉ પાકિસ્તાનની ૧૬ યુટ્યુબ ચેનલ કરી છે બ્લોક
પાકિસ્તાની સેલિબ્રીટીઝના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી છે. ભારત સરકારે ૧૬ મુખ્ય પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યા બાદ આ પગલું લીધુ છે.

વાત કરીએ તો આ યુટ્યુબ ચેનલોએ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી તેમજ ખોટા અને ભ્રામક વિડિઓઝ દર્શાવ્યા હતા. આ પહેલા, ભારત સરકારે ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી, જેમાં ઘણા ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. ભારતે બાબર આઝમ, મોહમ્મદ આમિર, નસીમ શાહ, શાહીન આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, હેરિસ રૌફ અને ઇમામ ઉલ હકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે.
પાકિસ્તાનના FM રેડિયો પર ભારતીય ગીતો બંધ કરાયા
ભારત દ્વારા પ્રતિબંધિત પ્લેટફોર્મમાં મુખ્ય પાકિસ્તાની ન્યૂઝ ચેનલો ડોન, સમા ટીવી, ARY ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝના યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાઝી નામા જેવા યુટ્યુબ હેન્ડલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને કડક સજા આપવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કલ્પના કરતાં પણ મોટી સજા આપવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આતંકવાદીઓને મારવાની વાત કરી છે. પાકિસ્તાનના FM રેડિયો સ્ટેશનોએ ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કરી દીધું હતું. પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારતીય ગીતો, ખાસ કરીને લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા મહાન ગાયકોના ગીતો, પાકિસ્તાનીઓમાં લોકપ્રિય છે અને અહીંના FM રેડિયો સ્ટેશનો પર દરરોજ વગાડવામાં આવે છે.