Last Updated on by Sampurna Samachar
ભારતે આ ર્નિણયને સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો
હેગ સ્થિત પરમેનન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશનનો ચૂકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાને ભારતને સિંધુ જળ સંધિ ફરી શરુ કરવા અપીલ કરી છે. જેને ભારતે પહેલગામ આતંકી હુમલા બાદ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હવે પાકિસ્તાનનું કહેવું છે કે, હેગ સ્થિત પરમેનન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશનના તાજેતરના ચુકાદાથી જાણવા મળ્યું છે કે આ કરાર હજુ પણ માન્ય અને કાર્યક્ષમ છે.

અહેવાલો અનુસાર, સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ બે જળવિદ્યુત પ્રોજેક્ટ્સની ડિઝાઇનના કેટલાક પાસાઓ પર પાકિસ્તાને વાંધો ઊઠાવ્યા બાદ PCA માં કાર્યવાહી શરુ કરવામાં આવી હતી, જેને ભારતે ક્યારેય માન્યતા આપી નથી. ભારતે આ ર્નિણયને સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, ‘પાકિસ્તાન સાથેના વિવાદ નિરાકરણ માટેના કહેવાતા માળખાને ક્યારેય માન્યતા આપી નથી.
સિંધુ જળ સંધિ માન્ય અને કાર્યક્ષમ
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘૨૭મી જૂનના રોજ PCO દ્વારા આપવામાં આવેલ પૂરક ચુકાદો “પાકિસ્તાનના વલણને ફરીથી સમર્થન આપે છે કે સિંધુ જળ સંધિ માન્ય અને કાર્યરત છે અને ભારતને તેના સંદર્ભમાં એકપક્ષીય કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી.”
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના નિવેદન અનુસાર PCA નો પૂરક ચુકાદો પુષ્ટિ આપે છે કે સિંધુ જળ સંધિ માન્ય અને કાર્યક્ષમ છે. અમે ભારતને તાત્કાલિક સિંધુ જળ સંધિની સામાન્ય કામગીરી પુન:સ્થાપિત કરવા અને સંધિની તેની જવાબદારીઓને સંપૂર્ણ અને પ્રામાણિકપણે પૂર્ણ કરવા અપીલ કરીએ છીએ.