Last Updated on by Sampurna Samachar
આવનારા ગ્લોબલ ઝટકા, આ બધાની બજેટમાં અવગણના
મોદી સરકાર પાસે કોઈ આઈડિયા નથી : ખડગે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે યુનિયન બજેટ ૨૦૨૬ રજૂ કરી દીધું છે. આ બજેટ પર કોંગ્રેસ સાંસદ તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ મોદી સરકારના બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર બજેટને લઈને પોસ્ટ કરી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, “યુવાનો પાસે નોકરી નથી. મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. રોકાણકારો પોતાની મૂડી બહાર કાઢી રહ્યા છે. ઘરોની બચત ઝડપથી ઘટી રહી છે. ખેડૂતો પરેશાન છે. આવનારા ગ્લોબલ ઝટકા, આ બધાની બજેટમાં અવગણના કરવામાં છે.”
મલ્લિકાર્જુન ખડગેએ પણ કર્યા પ્રહાર
રાહુલ ગાંધીની સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ યુનિયન બજેટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકાર પાસે હવે કોઈ આઈડિયા નથી બચ્યો. બજેટ ૨૦૨૬ ભારતની અનેક આર્થિક, સામાજિક અને રાજકીય પડકારોનો એક પણ ઉકેલ આપતું નથી.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, “મિશન મોડ હવે ચેલેન્જ રૂટ બની ગયું છે. રિફોર્મ એક્સપ્રેસ ભાગ્યે જ કોઈ રિફોર્મ જંક્શન પર રોકાય છે. પરિણામ એ આવ્યું છે કે કોઈ પોલિસી વિઝન જ નથી, કોઈ રાજકીય ઇચ્છાશક્તિ નથી. આપણા અન્નદાતા ખેડૂતો હજુ પણ અર્થપૂર્ણ કલ્યાણકારી સહાય કે આવક સુરક્ષા યોજનાની રાહ જોઈ રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “અસમાનતા બ્રિટિશ રાજના સમયના સ્તરને પાર કરી ગઈ છે, પરંતુ બજેટમાં તેનો ઉલ્લેખ પણ નથી અને ન તો SC, ST, OBC, EWS તેમજ અલ્પસંખ્યક સમુદાયોને કોઈ સહાય આપવામાં આવી છે. નાણા આયોગની ભલામણોનો વધુ અભ્યાસ કરવો જોઈએ, પરંતુ એવું લાગતું નથી કે તે ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહેલી રાજ્ય સરકારોને કોઈ રાહત આપશે.”