Last Updated on by Sampurna Samachar
Contents
છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન
મકાઈના પાકની વચ્ચે અફીણના છોડ મળી આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં વહીવટીતંત્રએ અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરતા સમોદા ગામમાં બુલડોઝર ચલાવ્યું છે. આ બુલડોઝર એક્શન દરમિયાન એક દુકાનને ધ્વસ્ત કરી દેવામાં આવી જેને અધિકારીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ દુકાન એ વ્યક્તિની હતી જેના ભાઈની તાજેતરમાં જ અફીણની ખેતી માટે ધરપકડ કરવામાં આવી હતી. વહીવટીતંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

બુલડોઝર ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયા અને કાર્યવાહીને જોવા લાગ્યા. આ સમગ્ર મામલો ભાજપ કિસાન મોરચાના નેતા વિજય તામ્રકાર સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમની પોલીસે થોડા દિવસો પહેલા જ અફીણની ખેતીના આરોપસર ધરપકડ કરી હતી.
અંદાજિત કિંમત લગભગ ૮ કરોડ
પ્ પોલીસ અને નાર્કોટિક્સ સાથે સબંધિત એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરતાં એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાઈના પાકની વચ્ચે અફીણના છોડ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે ખેતરમાં મોટા પાયે અફીણની ખેતી થઈ રહી હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જપ્ત કરાયેલા પાકની અંદાજિત કિંમત લગભગ ૮ કરોડ છે. આ કાર્યવાહી બાદ પોલીસે ભાજપ કિસાન મોરચા સાથે સંકળાયેલા નેતા વિજય તામ્રકારની બે અન્ય લોકો સાથે ધરપકડ કરી હતી. આ ધરપકડથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.આ ઘટનાક્રમ વચ્ચે વહીવટીતંત્રએ સમોદા ગામમાં વધુ એક કાર્યવાહી કરી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા નેતાના ભાઈ બ્રિજેશ તામ્રકાર ગામમાં લગભગ ૩૨ ડેસિમલ સરકારી જમીન પર દુકાન ચલાવતો હતો. જિલ્લા વહીવટીતંત્રને લાંબા સમયથી આ જમીન પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો મળી રહી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે દુકાન સરકારી જમીન પર બનેલી હતી.
ત્યારબાદ વહીવટીતંત્રએ અતિક્રમણ હટાવવાનો ર્નિણય લીધો અને મંગળવારે બુલડોઝરની મદદથી આ દુકાનને ધ્વસ્ત કરી દીધી. કામગીરી દરમિયાન મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે હાજર રહી હતી.
આ ઓપરેશનનું નેતૃત્વ અધિક તહસીલદાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રએ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ આ પગલું ભર્યું છે. ગેરકાયદેસર બાંધકામને હટાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો અને થોડી જ વારમાં સમગ્ર માળખું તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અતિક્રમણ હટાવવાના ઓપરેશનનો એક ભાગ હતો અને તેનો હેતુ સરકારી જમીન મુક્ત કરાવવાનો હતો.
વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે સ્થાનિક અદાલતે આ કેસમાં પહેલાથી જ ખાલી કરાવવાનો આદેશ જારી કરી દીધો હતો. તેમ છતાં લાંબા સમય સુધી અતિક્રમણ હટાવવામાં નહોતું આવ્યું. ગ્રામજનો અને ગામના વડાએ વહીવટીતંત્રને ઘણી વખત લેખિત ફરિયાદો રજૂ કરી હતી કે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.
આ ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે કોર્ટે ખાલી કરાવવાનું વોરંટ જારી થયા બાદ વહીવટીતંત્રએ કાર્યવાહીને અંજામ આપ્યો.