Last Updated on by Sampurna Samachar
૬૦% રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ૪૦ % ઓફલાઇન થશે
યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે નવી વ્યવસ્થા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચારધામ યાત્રા કરવા ઇચ્છતા લોકો માટે ખાસ સમાચાર છે. ચારધામ યાત્રા માટે આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન હવેથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા ૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના કપાટ ૨ મે અને બદ્રીનાથ ધામના કપાટ ૪ મેના રોજ ખોલવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આ વખતે ચારધામ યાત્રા માટે માત્ર ૬૦% રજીસ્ટ્રેશન ઓનલાઈન થશે, જ્યારે ૪૦% રજીસ્ટ્રેશન ઓફલાઈન હશે. ચારધામ યાત્રા નિકળતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે રજીસ્ટ્રેશન કેન્દ્રો યાત્રાના પ્રથમ ૧૫ દિવસ ૨૪ કલાક ખુલ્લા રહેશે. આ સાથે, વિભાગ હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગો પર રજીસ્ટ્રેશન કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરશે.
સત્તાવાર વેબસાઈટ પર કરી શકાશે રજીસ્ટ્રેશન
ત્યારે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. તેમજ હેલી સેવા માટેની ટિકિટ HELIYATRA.IRCTC.CO.IN પરથી બુક કરી શકાય છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પહેલા સત્તાવાર વેબસાઈટ પર જાઓ. તેમાં રજીસ્ટર અથવા લોગિન (નોંધણી) પર ક્લિક કરો. હવે મોબાઈલ નંબરની મદદથી લોગીન કરો. આ પછી, નામ, રાજ્ય અને આધાર કાર્ડની વિગતો જેવી બધી જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
ગયા વર્ષે, યાત્રા દરમિયાન, મસૂરી કેમ્પ્ટી રોડ પર પ્રવાસી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. આ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મોટી સંખ્યામાં વાહનો આવતાં અરાજકતા સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કટાપત્થર ચેકપોસ્ટ પર પાણી અને અન્ય સુવિધાઓના અભાવે યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.