Last Updated on by Sampurna Samachar
દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ માટે કેન્દ્ર સરકારની નવી પોલિસી
નજર રાખવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર સકંજો લાવવા નવા નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારા લોકોની હવે બચી શકશે નહીં. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ માટે નવી પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી થશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ઘણી વેબસાઇટ્સ પર દેશ વિરુદ્ધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે. આવું કરનારા લોકો સામે હવે કાર્યવાહી થશે. ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી હતી.
ટુંક સમયમાં નવી પોલિસી અમલમાં આવશે
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લોકો પર નજર રાખવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે. આવા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ સહિત ઘણાં રાષ્ટ્રવિરોધી લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેઓ નફરત ફેલાવી રહ્યા છે. નવી નવી પોલિસી આવ્યા પછી, આવા લોકો પર કાબુ મેળવી શકાય છે.
અમેરિકન સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ વાતચીત થઈ રહી છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે સોશિયલ મીડિયા કંપનીઓ પણ તેમના સ્તરે દેખરેખ રાખે કે તેમના પ્લેટફોર્મ પર ભારત વિરોધી તત્વો અપલોડ ન થાય. રાજ્ય પોલીસ અને આંતરિક સુરક્ષા સાથે સંબંધિત અન્ય એજન્સીઓ ભારત વિરોધી તત્ત્વોના પ્રયાસોને રોકવા માટે એક વ્યૂહરચના પર કામ કરી રહી છે, જેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી રાષ્ટ્રવિરોધી પોસ્ટ શેર કરવામાં આવી હતી. દેશ વિરોધી લોકો સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં સક્રિય છે. હવે તેમના પર લગામ લગાવવામાં આવશે.