Last Updated on by Sampurna Samachar
વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો વધ્યો
ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીયોને રોજગારના ખોટા વચનો આપીને કે પછી અન્ય દેશોમાં આગળની મુસાફરીની ખાતરી આપીને છેતરવાના બનાવો વધતાં, ઈરાને સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટેની વીઝા-મુક્ત યાત્રાની સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. પરિણામે, ૨૨ નવેમ્બરથી ઈરાન જતાં તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વીઝા મેળવવો ફરજિયાત રહેશે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય નાગરિકોને નોકરીના વાયદા કે ત્રીજા દેશની મુસાફરીની ખાતરી આપીને ઈરાન લઈ જવાના અનેક બનાવો સરકારના ધ્યાનમાં આવ્યા છે. ઈરાન પહોંચ્યા બાદ આમાંથી કેટલાક લોકોનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
વીઝા વિના યાત્રાની સુવિધા હવે બંધ
આ ગુનાહિત તત્વોને સુવિધાનો દુરુપયોગ કરતા અટકાવવા માટે જ ઈરાન દ્વારા વીઝા-મુક્ત સુવિધા સ્થગિત કરવામાં આવી છે. મંત્રાલયે ઈરાન જવાની ઈચ્છા ધરાવતા તમામ ભારતીય નાગરિકોને સાવધ રહેવા અને ઈરાન થઈને ત્રીજા દેશોમાં વીઝા-મુક્ત યાત્રા કે આગળની મુસાફરીની ઓફર કરતા એજન્ટોથી દૂર રહેવાની સલાહ આપી છે.
તાજેતરમાં, કેટલાક એજન્ટો દ્વારા ભારતીયોને નકલી નોકરીઓ કે અન્ય દેશોમાં મોકલવાના બહાને છેતરીને ઈરાન લઈ જવામાં આવ્યા હતા, કારણ કે તેઓ કહેતા હતા કે ઈરાન જવા માટે વીઝાની જરૂર નથી અને યાત્રા સરળ છે.
જોકે, વિદેશ મંત્રાલયની એડવાઇઝરી મુજબ, ઈરાન પહોંચ્યા પછી ઘણા લોકો સાથે ગંભીર છેતરપિંડી થઈ. મંત્રાલયે ખુલાસો કર્યો કે કેટલાક ભારતીયોનું ત્યાં અપહરણ કરવામાં આવ્યું અને પરિવારો પાસેથી ખંડણી માંગવામાં આવી. આવા ગુનાઓ પર અંકુશ લાવવા માટે ઈરાન સરકારે વીઝા-મુક્ત સુવિધા સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે.
વિદેશ મંત્રાલયે ભારતીય લોકોને સખત ચેતવણી આપી છે કે કોઈપણ એજન્ટની વાતોમાં ન આવવું, વીઝા-ફ્રી યાત્રા કે ઈરાન થઈને અન્ય દેશમાં મોકલવાના દાવાઓ પર વિશ્વાસ ન કરવો, અને નોકરીની ઓફરની સંપૂર્ણ તપાસ કરવી. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે તમામ ભારતીયોએ સતર્ક રહેવું, કારણ કે ખોટા વચનો આપીને અનેક લોકોને છેતરીને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે. આ રીતે, ઈરાન દ્વારા લેવામાં આવેલું આ પગલું ભારતીય નાગરિકોને છેતરપિંડી અને અપરાધથી બચાવવા માટેનું છે.
ઈરાનના આ ર્નિણય બાદ ૨૨ નવેમ્બરથી ભારતીયોને ઈરાન જવા માટે વીઝા લેવો ફરજિયાત બનશે. તેથી, ઈરાન થઈને કોઈ ત્રીજા દેશમાં જનારા લોકોએ પણ વીઝા લેવો પડશે. વીઝા વિના યાત્રાની સુવિધા હવે બંધ થઈ ગઈ છે.