Last Updated on by Sampurna Samachar
૧૩૩ ગ્રાન્ટેડ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારાઈ
આ હિસાબમાં સૌથી વધુ રકમ મણિનગરની જય સોમનાથ શાળાની ૬૨ લાખ ૫૫ હજાર રૂપિયા બાકી હોવાનું સામે આવ્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ સામાન્ય રીતે ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટની રકમના લેણા નીકળતા હોય છે, પણ અમદાવાદમાં કાંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓનું ઓડિટ કરવામાં આવ્યું અને એ ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત ન કરી હોય તે શાળાઓ સામે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદની આવી ૧૩૩ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

અમદાવાદની શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ પરત કરવાની થતી રકમ મામલે કાર્યવાહી શરૂ થઈ છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આવી ૧૩૩ ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. એકસાથે અમદાવાદની ૧૩૩ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારાઈ છે. અમદાવાદની ગ્રાન્ટેડ ૧૩૩ શાળાઓને પૈસા રિકવરીની નોટિસ અપાઈ છે.
શાળાઓને પોતાનો ખુલાસો રજૂ કરવા આખરી નોટિસ અપાઈ
સરકારમાંથી આપવામાં આવતી ગ્રાન્ટનું ઓડિટ થયું છે, અને ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત ન કરી હોય તે શાળાઓને નોટિસ આપવામાં આવી છે. આ મામલે છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓને સૂચના છતાં, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રકમ ચૂકવી નથી. આવી અમદાવાદની ૧૩૩ શાળાઓની ૨ કરોડ ૯૧ લાખ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી છે.
આ હિસાબમાં સૌથી વધુ રકમ મણિનગરની જય સોમનાથ શાળાની ૬૨ લાખ ૫૫ હજાર રૂપિયા બાકી હોવાનું સામે આવ્યું છે. તો આશ્રમ રોડની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના ૨૯ લાખ ૭૯ હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે. આ લિસ્ટમાં ૫ શાળાઓ એવી છે જેને ૧૨ લાખથી વધુની રકમ સરકારમાં ચૂકવવાની બાકી છે. હાલ શાળાઓને પોતાનો ખુલાસો રજૂ કરવા આખરી નોટિસ અપાઈ છે.
જે શાળા નોટિસ બાદ પણ રકમ નહીં ચૂકવે તેની પ્રોપર્ટી ટાંચ જપ્ત કરાશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કલેક્ટરને આવી શાળાઓનું લિસ્ટ આપશે. જે શાળાઓએ રકમ જમા કરાવી છે તેને પુરાવા રજૂ કરવા સૂચનો આપ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને તાત્કાલિક અસરથી ખુલાસો કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ખુલાસો કરવા રૂબરૂ કચેરીએ હાજર થવા ફરમાન કરાયું છે.