Last Updated on by Sampurna Samachar
MP ના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પોતાની પાર્ટીની કરી ટીકા
બુંદેલખંડમાં ભાજપને નુકસાન થઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના સીનિયર નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ હાલમાં એક પોસ્ટ દ્વારા પોતાની જ પાર્ટી પર પ્રહાર કર્યા છે. પોતાના ભત્રીજા રાહુલ લોધીને ટિકિટ મળવાને લઈને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ કોઈ મહેરબાની નથી કરી, પરંતુ પાર્ટીની મજબૂરી હતી. જોકે, આ પોસ્ટમાં તેમણે પોતાના પરિવાર અને રાજકીય યાત્રા તેમજ બલિદાનો વિશે પણ વાત કરી, જે હાલ ચર્ચાનો વિષય બની છે.
ઉમા ભારતીએ ૧૬ જુલાઈએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, મારી છબીની ચિંતાએ મારા ભાઈ-ભત્રીજાઓને તેમની ક્ષમતાઓ અનુસાર પ્રગતિ કરતા અટકાવ્યા હતા. રાહુલને ટિકિટ આપવી પાર્ટી માટે જરૂરી હતું. કારણ કે, બુંદેલખંડમાં ભાજપને નુકસાન થઈ શકે છે. મારા કારણે પરિવાર પર લૂંટ જેવા ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, જોકે કોર્ટે દરેક વખતે તેમને નિર્દોષ સાબિત કર્યા.
૬ વર્ષની ઉંમરથી સામાજીક જીવનમાં આવી
આ સાથે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જો મને ચૂંટણી લડાવવામાં ન આવી હોત, તો મારો ભાઈ-ભત્રીજો પહેલા જ સાંસદ કે ધારાસભ્ય બની ગયા હોત. રાહુલ લોધીની ખડગપુરથી ૨૦૧૮માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં ગેરરીતિના કારણે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તેની ઉમેદવારી રદ કરી હતી.
ઉમા ભારતીએ કહ્યું કે, ગ્રામ ડૂંડા, જિલ્લા ટીકમગઢના લોધીવંશના જે પરિવારમાં જન્મી છું, ત્યાં મારા સંન્યસ્ત જીવન પહેલાં ચાર ભાઈ અને એક બહેન હતી. જેમાંથી બે મોટા ભાઈનું તેમજ એક માત્ર બહેનનું નિધન થઈ ગયું. હું સૌથી નાની હતી અને મને ખૂબ લાડ લડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૬ વર્ષની ઉંમરથી સામાજિક જીવનમાં આવીને પ્રવચન શરૂ કરી દીધા.
દેશ-વિદેશમાં મારા પ્રવચન સંભાળનારા લોકોએ મને બાલ ગોપાલ જ કહી દીધું. મારા પરિવારે મારા રાજકારણના કારણે ઘણી પીડા સહન કરી છે. સરકાર ભલે કોંગ્રેસની રહી હોય કે ભાજપની, મારા કારણે તેમને ખૂબ પીડા સહન કરવી પડી. લૂંટી અને ચોરી જેવા ખોટા આરોપોમાં કોર્ટમાં નિર્દોષ સાબિત થયા. તેમ છતા મારા ભાઈઓના સંતાનોએ મારી છબીની ચિંતાના કારણે તે પોતે જેટલી યોગ્યતા ધરાવે છે, તેટલી પ્રગતિ ન કરી શક્યા. મારા એક ભાઈના દીકરા રાહુલને ટિકિટ આપીને પાર્ટીએ કોઈ મહેરબાની નથી કરી, આ તેમની મજબૂરી હતી.