Last Updated on by Sampurna Samachar
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કરી જાહેરાત
દેશના આશરે ૬ કરોડથી વધુ લોકોને લાભ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે PPF એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે, PPF ખાતામાં નોમિની અપડેશન માટે હવે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તદ્દન મફતમાં આ સેવાનો લાભ લઈ શકાશે. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે ૬ કરોડથી વધુ લોકોને લાભ થશે.
સરકારે નોટિફિકેશન મારફત PPF ખાતામાં નોમિની ઉમેરવાના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, PPF એકાઉન્ટમાં નોમિનીની વિગતો અપડેટ કરવા માટે અમુક નાણાકીય સંસ્થાઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. જે હવે તદ્દન ફ્રી કરવામાં આવ્યો છે.
PPF માં મોટાભાગે પ્રોફેશનલ્સ રોકાણ કરે
સરકારે બીજી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે, PPF એકાઉન્ટમાં નોમિની અપડેશન પર લાગુ તમામ ચાર્જ દૂર કરવામાં આવ્યા છે. સરકારી બચત સંવર્ધન સામાન્ય નિયમ ૨૦૧૮ માં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, સરકાર દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ માટે નોમિની રદ કરવા તેમજ તેમાં ફેરફાર કરવા માટે ચાર્જ પેટે રૂ. ૫૦ વસૂલવામાં આવતા હતા.
PPF માં નોમિની અપડેશન મફત કરવાની સાથે બૅન્કિંગ સુધારા બિલ ૨૦૨૫ હેઠળ બૅન્કોના સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, લોકર, એફડીના ખાતેદારોની જેમ PPF ખાતેદારો પણ ચાર નોમિની સામેલ કરી શકશે.
PPF માં મોટાભાગે પ્રોફેશનલ્સ રોકાણ કરે છે. ટેક્સમાં બચતનો વિકલ્પ હોવાથી તેમાં રોકાણ કરતાં હોય છે. રોકાણની સાથે મેચ્યોરિટી રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. લોંગ ટર્મમાં સુરક્ષિત રોકાણ અને મોટું ફંડ બનાવવાની આ શ્રેષ્ઠ રીત છે. PPF એકાઉન્ટમાં રોકાણ પર કલમ ૮૦ (સી) હેઠળ રૂ. ૧.૫૦ લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. PPF માં રોકાણ પર સરકાર હાલ ૭.૧ ટકા વ્યાજ આપી રહી છે. જેમાં ફુગાવાના આધારે ફેરફાર થતો હોય છે.