Last Updated on by Sampurna Samachar
વેપાર કરાર અંગે ભારત-અમેરિકા વચ્ચે ગુંચળામણ
વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવે અમેરિકા પ્રવાસ લંબાવી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં કંઈક અડચણો ઉભી થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આમ તો અમેરિકા ટેરિફ મામલાની ડેડલાઈન વધારવા માંગતા ન હતા અને તેમણે ભારત પ્રત્યે પણ કુણુ વલણ અપનાવ્યું હતું.
સૂત્રોએ કહ્યું છે કે, ‘ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતી થઈ શકી નથી. અમેરિકાએ ૧૦ ટકા ટેરિફ યથાવત્ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારત કેટલાક સેક્ટર્સમાંથી ૧૦ ટકા ટેરિફ શૂન્ય કરવા પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશોની અસંમતીને ધ્યાને રાખી સમજૂતીના મુખ્ય વાટાઘાટકાર વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ પોતાનો અમેરિકી પ્રવાસ લંબાવી દીધો છે.
૯૦ દિવસમાં ટ્રેડ ડીલ નહીં થાય તો ૨૫ ટકા ટેરિફ લાગશે
અગાઉ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ થઈ ગયું છે અને તેની જાહેરાત ૮ જુલાઈના રોજ થઈ શકે છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ આ સમજૂતીના મુખ્ય વાટાઘાટકાર હતા, તેની આગેવાનીમાં વોશિંગ્ટનમાં આના પર સમજૂતી થઈ છે.’
ત્યારબાદ વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધોને ટાંકીને કહ્યું હતું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો યથાવત્ રહેશે. બંને દેશો ટ્રેડ ડીલની નજીક પહોંચી ગયા છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં તે અંગે વિગતો આપશે.’ જોકે હવે સૂત્રોએ કહ્યું છે કે, ‘ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતી થઈ શકી નથી.’
બંને દેશ વચ્ચેના ટ્રેડ ડીલમાં કૃષિ, ડેરી સેક્ટર અને ભારતીય ખેડૂતોને આપવામાં આવતી સબસિડી મુખ્ય અવરોધ હતા. બીજી બાજુએ અમેરિકા ઇચ્છતું હતું કે ભારતના કૃષિ અને ડેરી સેક્ટરને તેની પેદાશો માટે ખોલવામાં આવે અથવા કોઈપણ રીતે ખોલવાનો માર્ગ તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત જેનેટિકલી મોડિફાઇડ બીયારણોના મુદ્દે છૂટ આપવામાં આવે. અમેરિકાએ સોય, ઘઉં, મકાઈ, ઇથેનોલ અને સફરજન પર ટેરિફ ઘટાડવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ઇવી, વાઇન, પેટ્રોકેમિકલ્સના મોરચે પણ ટેરિફમાં રાહત ઇચ્છે છે.
આ સમજૂતીના થોડા દિવસ પહેલાં જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થવાની તૈયારીમાં જ છે, અમે જબરદસ્ત ડીલ કરી રહ્યા છે. ચીન સાથે અમારે ડીલ થઈ ગઈ છે. તેની સાથે ટ્રમ્પે તેમ પણ જણાવ્યું હતું કે ભારત સાથે સમજૂતી ન થઈ તો ૨૬ ટકા ટેરિફ તો ઊભો જ છે. આમ ટ્રમ્પે આડકતરી રીતે ટેક્સની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ વિશ્વના મોટાભાગના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. કમ્બોડિયા જેવા દેશને પણ ટ્રમ્પે છોડયો ન હતો. જોકે આ ટેરિફ પર મોટાપાયા પર શોરબકોર મચતાં ટ્રમ્પે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ૨૬ ટકાનો રેસિપ્રોકલ ટેરિફ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યો હતો. તેની સાથે ધમકી આપી હતી કે જો ૯૦ દિવસમાં ટ્રેડ ડીલ નહીં થાય તો ૨૫ ટકા ટેરિફ લાગશે.
આ પહેલા એપ્રિલમાં અમેરિકન વાઇસ પ્રેસિડેનટ્ જેડી વાન્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ટ્રેડ ડીલની વાટાઘાટો માટેની ટર્મ્સ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તમે બંને દેશ વચ્ચે નજીકના ભવિષ્યમાં ડીલ થતું જોઈ શકો છો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ મચાવતા તેમના એજન્ડાની જાહેરાત કરી ત્યારે ભારત વાટાઘાટો માટે અમેરિકાનો સંપર્ક કરનારા સૌપ્રથમ દેશોમાં એક હતું.