Last Updated on by Sampurna Samachar
દિશાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી
દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કર્યાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના પિતા સતિષ સાલિયાને દિશાના મોતની તપાસ નવેસરથી શરૂ કરવાની માંગ કરી છે. જેના માટે તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે. અપીલમાં શિવસેના (યુબીટી) ના નેતા આદિત્ય ઠાકરે વિરૂદ્ધ ફરિયાદ નોંધવા તેમજ કેસ CBI ને સોંપવાની માંગ થઈ છે. દિશાના પિતાએ આરોપ મૂક્યો છે કે, દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.
દિશા સાલિયાને ૮ જૂન, ૨૦૨૦ ના રોજ મલાડની એક બિલ્ડિંગના ૧૪માં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં. તે સમયે મુંબઈ પોલીસે તેને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ તરીકે કેસ નોંધી તપાસ બંધ કરી હતી. તેના પરિવારજનોએ આપઘાતનું તથ્ય સ્વીકાર્યું હતું. પરંતુ દિશાની મોતના થોડા દિવસો બાદ ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના બાન્દ્રા એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે તેની મોતને પણ આપઘાતનું નામ આપ્યું હતું. જોકે, બાદમાં મામલો CBI ને સોંપાયો હતો.
મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું
ભાજપ નેતા નિતેશ રાણેએ ત્રણ વર્ષ પહેલાં જ દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે, દિશાએ તે સમયે દિકરીને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મૂકી નિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે દિશાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલી નવી અરજીમાં દાવો કર્યો છે કે, પોલીસે તેમને નજરકેદ કરી પોતે રજૂ કરેલા પુરાવાને સ્વીકારી લેવા મજબૂર કર્યા હતાં. અરજીમાં સુરજ પંચોલી, ડિનો મોર્યા અને મુંબઈ પોલીસ પર પણ ગંભીર આરોપ મૂકાયા છે.
દિશાના પિતાની અરજી બાદ મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું છે. કેબિનટ મંત્રી નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. તેમજ તેમની વિરૂદ્ધ તપાસ કરવાની માગ કરી છે. બીજી તરફ શિવસેનાએ અચાનક ફરીથી આ કેસ ખોલવા બદલ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રવક્તા અને મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, આ કેસ ફરી શરૂ કરવા પાછળ કોઈ ષડયંત્ર છે. ચાર વર્ષથી વધુ સમય બાદ આ મામલો ફરી ગરમાયો છે. અગાઉ આ કેસની તપાસ સોંપવામાં આવી હતી.