Last Updated on by Sampurna Samachar
રેલ્વે પ્લેટફોર્મ થયેલી નાસભાગમાં ૧૮ લોકોનાં મોતના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ મેળા દરમિયાન સંગમ સ્નાન કરવા માટે ભક્તોની મોટી ભીડ પ્રયાગરાજ તરફ જઈ રહી હતી. ત્યારે થયેલી ભાગદોડમાં ૧૮ લોકો માર્યા ગયા અને ૨૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા.

દેશની રાજધાનીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં મળતી માહિતી મુજબ, અચાનક નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર નાસભાગ મચી ગઈ હતી. જ્યાં ભાગદોડની માહિતી મળતા જ પોલીસ અને ચાર ફાયર ટેન્ડરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ જવા માટે લોકોની ભીડ સ્ટેશન પર પહોંચી હતી . આ દરમિયાન અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર થયેલી નાસભાગમાં અનેક લોકોના મોત થયા છે. પ્રયાગરાજ મહાકુંભમાં જતા લોકો માટે રેલ્વે સ્ટેશનથી બે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જોકે, આ ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર ભીડ વધવા લાગી. આ સમય દરમિયાન ઘણા લોકો ભાગદોડમાં કચડાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ મહાકુંભના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. દરમિયાન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોના આગમનને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. એવા આરોપો છે કે ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર અંધાધૂંધી ફેલાઈ હતી.
રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમાર ઘટનાનું નિરીક્ષણ કરવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા અને આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
ઉલ્લેખનીય છે કે વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી રહી જતાં તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા. આવી સ્થિતિમાં, ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં લેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી, ધક્કામુક્કી શરૂ થઈ ગઈ અને અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા હતા.
આવી સ્થિતિમાં, કેટલાક લોકો તો પોતાના સંબંધીઓને ઓટો દ્વારા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે લોકનાયક હોસ્પિટલ પ્રશાસને મોડી રાત્રે ૧૦ મહિલાઓ સહિત ૧૫ લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ હોસ્પિટલોમાં ઘણા ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
આ મામલે સરકારે નાસભાગમાં મૃત્યુ પામનારાઓ માટે વળતરની જાહેરાત કરી છે. અકસ્માતમાં પરિવારના સભ્યો ગુમાવનારાઓને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને ૨.૫ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તોને ૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. વળતરની રકમનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનની યોગ્ય વ્યવસ્થા નહોતી અને ભારે ભીડ હોવા છતાં પ્રયાગરાજ તરફ જતી ટ્રેનોની જનરલ ટિકિટો પણ મોડી રાત સુધી બુક થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર કલાકે ૧૫૦૦ જનરલ ટિકિટ જારી કરવામાં આવી રહી હતી. રાત્રે લગભગ ૧૦ વાગ્યે પ્લેટફોર્મ નંબર ૧૬થી પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પણ આવી રહી હતી. આ ઉપરાંત, બીજી ઘણી ટ્રેનો પ્રયાગરાજમાંથી પસાર થતી હતી.
શનિવારે, સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની પણ અહીંથી મોડી ચાલી રહી હતી. તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર હતા. સ્થળ પર હાજર કેટલાક મુસાફરોના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ માટે બે ખાસ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જોકે રેલ્વે વહીવટીતંત્રે તેની પુષ્ટિ કરી નથી. સુરક્ષાના નામે, પ્લેટફોર્મ પર થોડા પોલીસકર્મીઓ કર્મચારીઓ હાજર હતા, જેઓ પરિસ્થિતિને સંભાળી શકયા નહીં.
રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અચાનક ભીડને કારણે, પ્લેટફોર્મ પર મુસાફરોએ એકબીજાને ધક્કો માર્યો હતો, જેમાં કેટલાકને નાની-મોટી ઈજાઓ થઈ હતી. રેલવે બોર્ડના એક્ઝિકયુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે કોઈપણ ટ્રેન રદ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે અચાનક ભીડને નિયંત્રિત કરવા માટે, તાત્કાલિક ચાર ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે ભીડ ઘણી ઓછી થઈ ગઈ છે.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ઘટના બની છે જેમાં અંધાધૂંધી અને ભાગદોડને કારણે ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. આ દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને તેમને પરિસ્થિતિનો ઉકેલ લાવવા કહ્યું છે.
મુખ્ય સચિવને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટના પગલાં અમલમાં મૂકવા અને રાહત કાર્યકરોને તૈનાત કરવા કહેવામાં આવ્યું છે. બધી હોસ્પિટલો કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને સ્થળ પર રહેવા અને રાહત પગલાંનું નિયંત્રણ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હું સતત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યો છું.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા લોકનાયક અને અન્ય હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા. લોકનાયક હોસ્પિટલ પ્રશાસને ૧૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારની રજા હોવાથી શનિવારે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતા. શનિવારે ઘણી બધી જનરલ ટિકિટો પણ વેચાઈ હતી.
રેલ્વે અજમેરી ગેટ બાજુથી રેલ્વે સ્ટેશન જવા માટે, તમારે પહેલા પ્લેટફોર્મ નંબર ૧૬ પર જવું પડશે. અહીંથી અંદર જવા માટે એસ્કેલેટર અને સીડીઓ છે. આ કારણોસર અહીં સૌથી વધુ ભીડ હોય છે. રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે પ્રયાગરાજ ટ્રેન રવાના થયા પછી, અન્ય મુસાફરો માટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હી પ્રશાસન અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને બંને સરકારોને મૃતકો અને ઘાયલોની સાચી સંખ્યા જાહેર કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ માંગ કરે છે કે નાસભાગમાં માર્યા ગયેલા લોકોની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવે. ગુમ થયેલા અને ઘાયલ લોકોની ઓળખ જાહેર કરવી જોઈએ. આ રીતે અકસ્માતનું સત્ય છુપાવીને કોઈ ઉકેલ નહીં આવે. ઉત્તર પ્રદેશમાં પણ એવું જ થયું અને હવે દિલ્હીમાં થઈ રહ્યું છે. અકસ્માતના ગુનેગારોને પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ.