Last Updated on by Sampurna Samachar
શ્રીકાંત શિંદે વિદેશમાં ભારતનું શું પ્રતિનિધિત્વ કરશે
શરદ પવારે સરકારના ર્નિણયને આવકાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા કેન્દ્ર સરકારે ૩૨ દેશોમાં જુદા-જુદા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાની કવાયતની ટીકા કરતાં સંજય રાઉતને NCP અધ્યક્ષ શરદ પવારે સલાહ આપી છે. પવારે સંજય રાઉતને સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ન જોડવા અપીલ કરી છે.
આ પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, પૂર્વ મંત્રી અને રાજદૂત સામેલ છે. NCP અધ્યક્ષ શરદ પવારે સરકારના આ ર્નિણયને આવકાર્યો છે, જ્યારે સંજય રાઉતે સરકારના આ ર્નિણયની ટીકા કરતાં પ્રતિનિધિમંડળની તુલના વરઘોડાના જાનૈયાઓ સાથે કરી હતી. જેનો જવાબ આપતાં પવારે સંજય રાઉતને સલાહ આપી હતી.
શરદ પવારે સંજય રાઉત પર નિશાન સાદ્યું
શરદ પવારે સંજય રાઉત પર નિશાન સાધતા કહ્યું કે, સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડશો નહીં. આ મામલે પક્ષના આધાર પર ર્નિણયો ન લો. રાષ્ટ્ર હિતમાં ર્નિણય લો. જ્યારે પી.વી. નરસિમ્હા રાવ વડાપ્રધાન હતાં, ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ યુએન ગયુ હતું. ત્યારે હું પણ તેનો હિસ્સો બન્યો હતો.
NCP અધ્યક્ષ પવારે કહ્યું કે, સંજય રાઉત જે પણ કહેવા માંગે છે, તે કહી શકે છે. તેમનો હક છે. પરંતુ સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડશો નહીં. તેમના પક્ષની એક સભ્ય પ્રિયંકા ચતુર્વેદી પણ આ પ્રતિનિધિમંડળમાં સામેલ છે.
શિવસેના UBT ના સંજય રાઉતે આ પ્રતિનિધિમંડળની તુલના વરઘોડાના જાનૈયાઓ સાથે કરતાં કહ્યું હતું કે, આ વરઘોડાને મોકલવાની શું જરૂર હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના દિકરા શ્રીકાંત શિંદે વિદેશમાં ભારતનું શું પ્રતિનિધિત્વ કરશે.
ઉલ્લેખનીય છે, એકનાથ શિંદેના દિકરા અને ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા શ્રીકાંત શિંદેની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યુએઈ, લાઈબેરિયા, કાંગો અને સિએરા લિયોનનો પ્રવાસ કરશે. સંજય રાઉતે INDIA બ્લોકના નેતાઓને આ પ્રતિનિધિમંડળનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી. મમતા બેનરજીના TMC એ પણ આ પ્રતિનિધિમંડળનો બહિષ્કાર કરતાં તેમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી.