Last Updated on by Sampurna Samachar
કેટલાય ઘર જમીનદોસ્ત થયા તો આઠ લોકોના થયા મોત
જનજીવન ખોરવાતા ભારે દયનીય સ્થિતિ સર્જાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં કુદરતે આભ ફાડી મુશળધાર વરસાદ વરસાવી તારાજી સર્જી છે. જેના જનજીવન ખોરવાઈ ગયુ છે. વાત કરીએ તો જિલ્લાના અનેક હિસ્સામાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આભ ફાટતાં અનેક ઘરો ધરાશાયી થયા છે તો અત્યારસુધીમાં આઠના મોત નીપજ્યા છે. જ્યારે ૧૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધર્મકુંડ ગામમાં ૪૦-૫૦ ઘરો ધરાશાયી થયા છે.

જમ્મુ-શ્રીનગરની જીવન રેખા ગણાતા નેશનલ હાઈવે ૪૪ પર ઠેર ઠેર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો ઉભો થયો છે. જેના કારણે હાઈવે લગભગ બંધ થયો છે. પરિવહન સેવાઓ ખોરવાઈ છે. સેકડોં વાહનો ફસાયા છે. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. બાળકો, વરિષ્ઠો અને બિમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે.
જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયુ
કાશ્મીરમાં બપોરે બરફના કરાં પડવાની સાથે વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તમાન સિસ્ટમ પર નજર રાખતાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે. અરનાસ વિસ્તારના લમસોરા નંબર બેના એક ખાનાબદોષ પરિવાર પર વીજળી પડી છે. જેમાં વધુ બે લોકોના મોત નીપજ્યા છે. એક મહિલા ઘાયલ થઈ છે.

ત્યારે વીજ પડવાથી ૪૦-૫૦ ઘેટાં-બકરાંઓના પણ મોત થયા છે. બાગનામાં પણ ઘર પાણીમાં વહી જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. રામબન વિસ્તારોમાં ઘર જમીન-દોસ્ત થયા છે. માન બનિહાલમાં ૭૧ MM , કાજી કુંડમાં ૫૩ MM , કુકરબાગમાં ૪૩ MM , પહેલગામમાં ૩૪ MM, શ્રીનગરમાં ૧૨ MM વરસાદ થયો છે. શ્રીનગર દક્ષિણમાં ૮૦-૧૦૦ MM વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના કારણે રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયુ છે. જેના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિક સત્તાધીશોએ લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે. તેમજ હાઈવે પર મુસાફરી ન કરવા કહ્યું છે.