Last Updated on by Sampurna Samachar
આગની ઘટનામાં કેટલાય બાળકો ગુમ થયા
ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત વિસ્તારમાં ૫૦ મકાનોમાં ભયાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. રામપુરમ ગામમાં લાગેલી આગમાં પાંચ માસૂમ બાળકોના મોત અને ૧૫ બાળકો ગુમ થયા છે. ભીષણ આગની ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે. બાળકોના મોતના કારણે ગામ ગમગીનીમાં છવાઈ ગયું છે.
મળતા અહેવાલો મુજબ, રામપુરમ ગામમાં પહેલા એક મકાનમાં આગ લાગી હતી. જે આસપાસના અનેક મકાનમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ બાળકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જોકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું.
વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના બે વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ કયા કારણોસર લાગી, તે હજુ જાણી શકાયું નથી. જોકે શોર્ટ સર્કિટ અથવા ચુલાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે અને પીડિત પરિવારજનોને તાત્કાલીક રાહત આપવાની વાત કરાઈ છે.