Last Updated on by Sampurna Samachar
મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે કોયડા સમાન!
૪૯૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. પરંતુ મનપાના ૧૩ વોર્ડની કુલ ૫૨ બેઠક માટે ૪૯૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે ત્યારે ભાજપ દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મનપામાં કોર્પોરેટર બનવાના અભરખા સાથે ભાજપમાંથી ટિકિટ મેળવવા લાંબી લાઇન લાગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
૯ વ્યક્તિઓ વચ્ચે ટિકિટ મેળવવા હરીફાઈ
સુરેન્દ્રનગર મનપામાં કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બે દિવસ નમો કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી કરવા કાર્યકર્તા, આગેવાનો અને પૂર્વ નગરસેવકોએ લાંબી લાઇન લગાવતા કુલ દાવેદારોનો આંકડો ૪૯૦ને પાર પહોંચ્યો છે. કુલ ૫૨ બેઠકો માટે નવ ગણા લોકો એટલે કે ૪૯૦ થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા એક બેઠક પર સરેરાશ ૯ વ્યક્તિઓ વચ્ચે ટિકિટ મેળવવા હરીફાઈ થશે.
ટિકિટ મેળવવા માટે અગાઉના ૪૦થી વધુ પાલિકાના પૂર્વ સદસ્યો, ૨૭ જેટલા સંગઠનના હોદ્દેદારોએ માંગણી કરી છે તેમજ ૧૦ થી વધુ એવા હોદ્દેદારો પણ છે કે જેમણે પોતાના માટે નહીં પરંતુ પરિવારના કોઈ સભ્ય માટે ટિકિટની માંગણી કરી હોવાની ચર્ચા છે. બીજી તરફ ભાજપમાં નો રીપીટ થીયરી, ૬૦ વર્ષથી વધુ ઉંમર, સતત ૩ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવી તેવા નિયમોને લઈને કોકડું ગૂંચવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાજપ દ્વારા ટિકિટની ફાળવણીને લઈને પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલી સૂચના અનુસાર જાે ટિકિટની ફાળવણી કરવામાં આવશે તો જૂના જોગીઓની ટિકિટ ચોક્કસ કપાય તેવી શક્યતા છે અને નવા તેમજ યુવાન ચહેરાઓને તક આપવામાં આવે તેવી શક્યતા છે અને આવું થાય તો કદાચ ભાજપમાં આંતરિક અસંતોષ પણ બહાર આવે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને હાલ તો ભાજપ માટે પણ ર્નિણય લેવામાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે.