Last Updated on by Sampurna Samachar
પાડોશી દેશમાં જીવલેણ બીમારી ફેલાતા હડકંપ
હાલ બાંગ્લાદેશમાં બાળકોની ખસરાની બીમારીના કારણે તબિયત બગડવાના કિસ્સાઓમાં અચાનક ઉછાળો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ બાંગ્લાદેશમાં બાળકોની તબિયત બગડવાના કિસ્સાઓમાં અચાનક ઉછાળો આવ્યો છે. શરૂઆતમાં સામાન્ય તાવ અથવા વાઈરલ માનવામાં આવતું હતું, પરંતુ જેમ જેમ કેસ વધતા ગયા તેમ તેમ સ્થિતિ ગંભીર બનતી ગઈ. રિપોર્ટ મુજબ, એક મહિનાથી ઓછા સમયમાં ૧૦૦થી વધુ બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર હચમચી ગયું છે.

તપાસ બાદ સ્પષ્ટ થયું કે આ પાછળ કોઈ સામાન્ય તાવ નહીં પણ ખસરા નામની ખતરનાક અને ઝડપથી ફેલાતી બીમારી છે, જે ખાસ કરીને નાના બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.ખસરા એક વાઈરલ ઈન્ફેક્શન છે, જે બાળકોમાં ઝડપથી ફેલાય છે. તેની શરૂઆત તાવ, ખાંસી, નબળાઈ અને શરીર પર ફોડલીઓ કે લાલ ચકામા જેવા સામાન્ય લક્ષણોથી થાય છે, જેને લોકો અવારનવાર અવગણતા હોય છે.
હેલ્થ સિસ્ટમ પર દબાણ વધી ગયું
પરંતુ સમયસર સારવાર ન મળવા પર આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનાથી બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. આ બીમારીને કારણે શરીર નબળું પડી જાય છે અને અન્ય ખતરનાક સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે, જે નાના બાળકો માટે જીવલેણ સાબિત થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખસરા એક અત્યંત ચેપી રોગ છે, જે હવા દ્વારા ખૂબ જ ઝડપથી ફેલાય છે. જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય છે, ત્યારે વાઈરસ હવામાં ફેલાઈ જાય છે અને આસપાસના લોકો શ્વાસ દ્વારા તેને પોતાના શરીરમાં લઈ લે છે. આ જ કારણ છે કે આ બીમારી ટૂંકા સમયમાં મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી શકે છે, ખાસ કરીને ગીચ વિસ્તારોમાં તેનું જોખમ વધી જાય છે. બાંગ્લાદેશમાં માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ કેસ સામે આવ્યા છે, જેના કારણે હેલ્થ સિસ્ટમ પર દબાણ વધી ગયું છે.
પરિસ્થિતિને ગંભીરતાથી લેતા, બાંગ્લાદેશ સરકારે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ સાથે મળીને ૫ એપ્રિલથી મોટા પાયે ઇમરજન્સી ખસરા-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો લક્ષ્ય ૧૨ લાખથી વધુ એવા બાળકોને સુરક્ષા આપવાનો છે, જેમને અત્યાર સુધી રસી નથી લાગી અને જેઓ સૌથી વધુ જોખમમાં છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર રસીકરણ જ આ રોગથી બચવાનો સૌથી અસરકારક માર્ગ છે. સાથે જ, બાળકોમાં તાવ અથવા દાણા કે ચકામા જેવા લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે, જેથી સમયસર સારવાર થઈ શકે અને ગંભીર પરિસ્થિતિ ટાળી શકાય.