Last Updated on by Sampurna Samachar
અફવા ફેલાવનારા પર નજર રાખો, મોદીની મંત્રીઓને ટકોર
LPG ના પુરવઠા અંગે જનતામાં ભય કે ગભરાટ પેદા કરનારા તત્ત્વો પર કડક નજર રાખવામાં આવે : પીએમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપની અસરો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મહત્ત્વની સૂચના આપી છે. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, LPG ના પુરવઠા અંગે જનતામાં ભય કે ગભરાટ પેદા કરનારા તત્ત્વો પર કડક નજર રાખવામાં આવે.

વડાપ્રધાન મોદીએ મંત્રીઓને સલાહ આપી કે, સોશિયલ મીડિયા પર વિપક્ષ દ્વારા કરવામાં આવતા કથિત પ્રોપેગેન્ડાનો પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો જોઈએ. કેટલાક તત્ત્વો વર્તમાન પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સામાન્ય જનતામાં ડર પેદા કરવા માગે છે. આવી કોઈપણ ગતિવિધિ જે પરિસ્થિતિને ગંભીર બનાવવાનો પ્રયાસ કરતી હોય તેની પર બારીકાઈથી નજર રાખવી જરૂરી છે.
અવરોધને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ
વડાપ્રધાનના અનુસાર ઈંધણની સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય સ્થિતિને કારણે આખી દુનિયા અત્યારે આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પીએમ મોદીએ ખાતરી આપી છે કે, ભારતની તૈયારીઓ અત્યંત મજબૂત છે. સરકાર પાસે પુરવઠાની સાંકળ જાળવી રાખવા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે.
મંત્રીઓને સૂચના આપવામાં આવી કે, તેઓ સરકારની મજબૂત તૈયારીઓ વિશે જનતાને આક્રમક રીતે અને સચોટ માહિતી આપીને વાકેફ કરે, જેથી લોકોમાં વિશ્વાસ કાયમ રહે.
વડાપ્રધાને કેબિનેટ બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર કોઈપણ અવરોધને સંભાળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. મંત્રીઓએ ગભરાટ ફેલાવતા અહેવાલો પર મોનિટરિંગ કરવું જોઈએ અને સાચી માહિતી શેર કરવી જોઈએ, કારણ કે માત્ર સાચી જાણકારી દ્વારા જ અફવાઓને રોકી શકાય છે.