પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે મોદીના ટીએમસી પર પ્રહાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન‘

પીએમ મોદીએ કહ્યું કે TMCની ગંદી રાજનીતિ અને સત્તાના અહંકારને બંગાળની જનતા જલદી તોડી નાખશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે દિલ્હીથી લગભગ ૩૩,૫૦૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ બંગાળની TMC સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ TMC પર રાષ્ટ્રપતિના અપમાનનો આરોપ લગાવ્યો.

વડાપ્રધાન મોદીએ જનસભામાં કહ્યું કે, ‘આજે દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યો છે અને ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં TMC સરકારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કર્યું છે. દ્રૌપદી મુર્મુ સંથાલ સમુદાયના એક મોટા કાર્યક્રમમાં ભાગ લેવા બંગાળ ગયા હતા, પણ રાષ્ટ્રપતિનું સન્માન કરવાને બદલે TMCએ આ પવિત્ર અને મહત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.’

લોકશાહીની મહાન પરંપરાનું પણ અપમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘દ્રૌપદી મુર્મુ પોતે આદિવાસી સમુદાયમાંથી આવે છે અને હંમેશાં તેમના વિકાસ માટે ચિંતિત રહે છે. TMC સરકારે એ કાર્યક્રમને કુપ્રબંધનના ભરોસે છોડી દીધો. આ માત્ર રાષ્ટ્રપતિનું નહીં, પણ ભારતના બંધારણનું પણ અપમાન છે. આ બંધારણની ભાવનાનું અપમાન છે. આ લોકશાહીની મહાન પરંપરાનું પણ અપમાન છે.’ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ વર્તન બંધારણની ભાવનાના વિરુદ્ધ છે.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, ‘આપણા દેશમાં કહેવાય છે કે કોઈ વ્યક્તિ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, અંતે અહંકાર જ તેનો વિનાશ કરે છે. આજે દેશની રાજધાનીમાંથી હું આપ સૌને અપીલ કરું છું કે TMCની ગંદી રાજનીતિ અને સત્તાનો અહંકાર, જેમણે એક આદિવાસી રાષ્ટ્રપતિના ગૌરવને અપમાનિત કર્યું છે, તે જલદી તૂટી જશે.’ તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની સમજદાર જનતા TMCને એક મહિલા, એક આદિવાસી અને દેશના રાષ્ટ્રપતિના અપમાન માટે ક્યારેય માફ નહીં કરે.

દેશ પણ તેમને ક્યારેય માફ નહીં કરે. દેશનો આદિવાસી સમુદાય પણ તેમને ક્યારેય માફ નહીં કરે. દેશની મહિલાઓ પણ તેમને ક્યારેય માફ નહીં કરે.
આ વિવાદ રાષ્ટ્રપતિ મુર્મુના ઉત્તર બંગાળ પ્રવાસ દરમિયાન સામે આવ્યો હતો, જ્યાં તેઓ દાર્જિલિંગ જિલ્લામાં ૯મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. મૂળ કાર્યક્રમ વિધાનનગર (ફાંસીદેવા બ્લોક)માં યોજાવાનો હતો, જ્યાં મોટી સંખ્યામાં સંથાલ આદિવાસી સમુદાયના લોકો આવવાના હતા, પણ રાજ્ય પ્રશાસને સુરક્ષા, ભીડ અને અન્ય કારણો જણાવીને કાર્યક્રમને બાગડોગરા એરપોર્ટ પાસેના ગોશાઈપુર ખાતે ખસેડી દીધો.

રાષ્ટ્રપતિએ પોતે આ સ્થળમાં ફેરફાર કરવા પર અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે નવું સ્થળ નાનું હતું, જેના કારણે ઘણા લોકો આવી શક્યા નહીં.
તેમણે મમતા બેનર્જીને નાની બહેન કહીને પૂછ્યું કે શું તેઓ તેમના પર ગુસ્સે છે, કારણ કે ન તો મુખ્યમંત્રી અને ન તો કોઈ મંત્રી તેમને રિસીવ કરવા આવ્યા, જ્યારે પદના ગૌરવ માટે પ્રોટોકોલનું પાલન જરૂરી છે. આ મુદ્દે BJP મમતા બેનર્જી અને TMC સરકાર પર સતત હુમલા કરી રહી છે. જાેકે, મમતા બેનર્જીએ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે રાજ્ય સરકારને આ કાર્યક્રમ વિશે કોઈ જાણકારી નહોતી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.