Last Updated on by Sampurna Samachar
સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ
જવાબમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાથી લગભગ ૮૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા ખનપી ગામમાં વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી સંગઠનના ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે.

સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી ખુફિયા માહિતીના આધારે કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓએ સેનાના જવાનો પર કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.
આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ
UKNA એક બિન-એસઓઓ ઉગ્રવાદી સંગઠન છે. તાજેતરના દિવસોમાં, આ સંગઠન દ્વારા ઘણી હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં એક ગામના મુખીની હત્યા, સ્થાનિક લોકોને ધમકાવવા અને વિસ્તારમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ પછી જ સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, ઘણા કૂકી અને ઝોમી ઉગ્રવાદી જૂથોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ યાદીમાં ેંદ્ભદ્ગછનું નામ સામેલ નહોતું.
સેના અને આસામ રાઇફલ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઓપરેશન વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આસપાસના વિસ્તારોમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.