Last Updated on by Sampurna Samachar
હત્યાની જાણ થતાં જ જોરાવરનગર પોલીસનો કાફલો તાત્કાલિક ફૂલગ્રામ પહોંચ્યો હતો
ગુનાખોરીના બનાવોમાં ચિંતાજનક વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે, ત્યારે વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફૂલગ્રામ ગામે સામા પક્ષ સાથે સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, ફૂલગ્રામ ગામે રહેતા રમેશ ગાબુ નામના આધેડ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામા પક્ષે રમેશભાઈ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રમેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થતાં જ જોરાવરનગર પોલીસનો કાફલો તાત્કાલિક ફૂલગ્રામ પહોંચ્યો હતો.
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો
પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ નજીવી બાબતની બોલાચાલી હોવાનું મનાય છે, પરંતુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આની પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ.પોલીસે હાલમાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. હત્યા, ગેરકાયદેસર ખનીજ ખનન (રેતી ચોરી) અને દારૂની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ધોળા દિવસે થતી હત્યાની ઘટનાઓને પગલે સામાન્ય નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.