Last Updated on by Sampurna Samachar
વસ્ત્રાલ-થલતેજ વચ્ચે દોડતી મેટ્રો થલતેજ ગામ સુધી જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ખાસ કરીને થલતેજ ગામથી અને થલતેજ સુધી મુસાફરી કરવા માગતા નોકરિયાત વર્ગ માટે મેટ્રો વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવે વસ્ત્રાલ – થલતેજ વચ્ચે દોડતી મેટ્રો છેક થલતેજ ગામ સુધી જશે.
અત્યાર સુધી આ રૂટ પરની મેટ્રો થલતેજ ચાર રસ્તાથી વસ્ત્રાલ જતી હતી જેને કારણે થલતેજ ગામમાંથી અને થલતેજ ગામ સુધી અપડાઉન કરતા લોકોને એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પર બનેલા સ્ટેશનેથી બેસવું પડતું હતું અને ત્યાં જ ઉતરવું પડતું હતું. પરંતુ હવે જેઓ થલતેજ ગામ સુધી જવા માગે છે તેમને આગામી શનિવારથી આ સુવિધા ઉપલબ્ધ થશે.
આ સાથે ગુજરાત મેટ્રો રેલ સત્તામંડળ દ્વારા શહેરની તમામ મેટ્રો સેવા માટેનું ટાઈમ ટેબલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જે ઓનલાઇન દ્વારા મેળવી શકાશે અને મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે