Last Updated on by Sampurna Samachar
રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવરાત્રિમાં ગરબા રમવા માટે યુવાનો થનગની રહ્યા છે. ત્યારે હવામાનને લઈને સમાચાર ખેલૈયાઓ માટે સારા નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ બંગાળની ખાડી પર એર સાયકલોનિક સિસ્ટમ બનતા વરસાદ વરસવાની પુરેપુરી સંભાવના વ્યકત કરાઈ છે.
નવરાત્રિના પ્રથમ નોરતાની શરૂઆત થઇ ગઇ છે. નવરાત્રિની શરૂઆતની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેલ્યાઓ વરસાદને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવશે
આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે. આ વરસાદ ૧ ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શકયતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે.
સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો.
જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં ૩ ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ૩૫ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૧ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ અને ૨૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોને વરસાદના આગમનથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
વધુમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.