Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં ૫ ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો
ઈકબાલ શેખે પ્રહાર કરતા ઉમેર્યું કે, કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ હજુ સુધી રેસના અને લગ્નના ઘોડા ઓળખી શક્યું નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી ૨૬ એપ્રિલના રોજ એક જ તબક્કામાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આરોપ પ્રત્યારોપની સાથે સાથે પક્ષપલટાનો દોર પણ યથાવત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાંચ ટર્મથી કોર્પોરેટર તરીકે સેવા આપતા વરિષ્ઠ નેતા ઈકબાલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ હવે ગોમતીપુર વોર્ડથી ટિકિટ પર ચૂંટણી લડવાના છે.
પૂર્વ ધારાસભ્યોને હાજર રહેવા આદેશ
રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લી ટર્મ સુધી પક્ષને વફાદાર રહ્યા હોવા છતાં છસ્ઝ્રમાં વિપક્ષના નેતાના પદને લઈને તેમની સાથે અન્યાય થયો છે. વચન આપ્યા બાદ પણ તેમને આ પદ સોંપવામાં આવ્યું નથી.
ઈકબાલ શેખે આકરા શબ્દોમાં પ્રહાર કરતા ઉમેર્યું કે, “કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ હજુ સુધી રેસના અને લગ્નના ઘોડા ઓળખી શક્યું નથી.” તેમણે આરોપ લગાવ્યો કે પક્ષમાં ‘સારા નેતા‘ નહીં પણ ‘મારા નેતા‘ની માનસિકતા ચાલી રહી છે, જેના કારણે કોંગ્રેસ ડૂબી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં સિનિયર નેતાઓને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને છેલ્લી ઘડી સુધી મેન્ડેટ આપવામાં આવતું નથી. પક્ષના કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા ગેરવર્તન અને અન્યાયને કારણે માન-સન્માન ન જળવાતું હોવાથી તેમણે છેવટે કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાનો ર્નિણય લીધો છે.
એક તરફ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે જનતાને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સૂચના આપી છે કે કોંગ્રેસ તમામ ૧૫ મહાનગરપાલિકા માટે અલગ-અલગ મેનિફેસ્ટો જાહેર કરશે. આવતીકાલે અને ૭ તારીખે પ્રેસ કોન્ફરન્સ યોજીને જનતાના સૂચનોના આધારે તૈયાર કરેલો આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે વિપક્ષી નેતાઓ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને હાજર રહેવા આદેશ અપાયા છે.
ચૂંટણી પહેલા માત્ર કોંગ્રેસ જ નહીં, ભાજપમાં પણ ગાબડાં પડી રહ્યા છે. ગીર સોમનાથમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસની બેઠકમાં હાજરી આપીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. કોડીનારના સિધાજ ગામે યોજાયેલી બેઠકમાં જેઠાભાઈ સોલંકીની સાથે ભાજપના નેતા સુનિલ રાઠોડ પણ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં બેઠકોની સંખ્યા અને પક્ષપલટાના સમીકરણો જોતા આ વખતે જંગ અત્યંત રસાકસીભર્યો રહેવાના એંધાણ છે. એક તરફ ભાજપ પોતાનો ગઢ બચાવવા મથશે, તો બીજી તરફ કોંગ્રેસ, આપ જેવા પક્ષો નવા ગણિતો માંડી રહ્યા છે.