Last Updated on by Sampurna Samachar
લોકોને શ્વાન કરડ્યા બાદ સરકારી દવાખાનામાં ઉપલબ્ધ નહતુ ઇન્જેક્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનના આતંક વધ્યો છે. જેમાં, એક જ દિવસમાં હડકાયા શ્વાને છ લોકોને બચકાં ભરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલ, ભોગ બનનારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ચોંકાવનારી વાત તો એ હતી કે સ્થાનિક સરકારી દવાખાનામાં શ્વાન કરડે ત્યારે આપવામાં આવતું ઈન્જેક્શન હતું જ નહીં, જેથી ઘાયલોને ગોધરા સિવિલમાં લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ રખડતા શ્વાનોને લઈને યોગ્ય કાર્યવાહી ન કરવા મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. જેમાં એક જ દિવસમાં આ હડકાયા શ્વાસે શાળાના બાળકો તેમજ ઘરકામ કરતી મહિલા સહિત ૬ લોકો અને બે પશુઓને બચકાં ભર્યા હતાં. શ્વાનના કરડવાથી તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં રસી ન મળતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
નોંધનીય છે કે, જો આ હડકાયું શ્વાન કાબુમાં ન આવે તો અન્ય પશુ દ્વારા હડકવાની બીમારી વધવાનો ભય છે. હાલ, સમગ્ર વિસ્તારમાં શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. આ મામલે ગ્રામજનોનો આરોપ છે કે, ગામના સરપંચને આ વિશે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. શ્વાનના આતંકના કારણે ઘરમાંથી નીકળવું મુશ્કેલી બની ગયું છે. બાળકો રમતા હોય ત્યાં શ્વાન બચકું ભરી લે છે. જેથી બાળકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે.