Last Updated on by Sampurna Samachar
જયપુરના દૂદૂમાં આ દુર્ઘટના બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ૮ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.મળતી માહિતી અનુસાર આ તમામ લોકો જયપુરથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા. ત્યારે જયપુરના દૂદૂમાં આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ દૂદૂના મોખમપુરામાં નેશનલ હાઈવે ૪૮ પર કાર અને ખાનગી બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. બસનું ટાયર ફાટતા તે બેકાબૂ થઈને ડિવાઈડર કૂદીને બીજી તરફ પહોંચી ગઈ હતી. આ દરમિયાન બસ અને કાર વચ્ચે ટક્કર થઈ. જે દુર્ઘટનામાં કારમાં સવાર ૮ લોકોના મોત થયા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ, તમામ મૃતકોના મૃતદેહ દૂદૂ હોસ્પિટલમાં રખાયા છે.
દુર્ઘટનાના કારણે રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ક્રેનની મદદથી પોલીસે બસ અને ક્ષતિગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર કરી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા અને કચ્ચરઘાણ નીકળી ગયો.
પોલીસ અધિકારી સંજય પ્રસાદ મીણાએ જણાવ્યું કે, જોધપુર રોડવેઝની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી, ત્યારે અચાનક બસના ટાયરમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર તોડતા અજમેર તરફથી જયપુર આવી રહેલી ઈકો સાથે ટકરાઈ. જેમાં કારમાં સવાર ૮ લોકોના મોત થઈ ગયા.
અકસ્માત સમયે હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, પૂરપાટ ગતિ અને ટાયર ફાટવાના કારણે દુર્ઘટના બની. ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી. તમામ મૃતકો ભીલવાડાના કોટડી વિસ્તારના રહેવાસી પુરુષો છે. આ લોકો પ્રયાગરાજમાં મહાકુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા પરંતુ તે પહેલાં જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.