Last Updated on by Sampurna Samachar
અનેક દેશોના ભક્તોએ ‘હર હર ગંગે’ના નાદ સાથે ત્રિવેણીમાં ડૂબકી લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોષ પૂનમના અવસરે મહાકુંભ ૨૦૨૫ નો પ્રારંભ થઇ ગયો છે. મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં ભાગ લેવા માટે ભારત સહીત વિદેશી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેમાં રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇટલી, જર્મની, આર્જેન્ટીના સહીત અનેક દેશોના ભક્તોએ ‘હર હર ગંગે’ના નાદ સાથે ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી.
ઠંડીના વાતાવરણમાં પાણી થીજી જવા છતાં વિદેશી ભક્તોએ ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. ત્રિવેણી સંગમમાં મુક્તિની શોધમાં પહેલીવાર ભારત આવેલા બ્રાઝિલના ભક્ત ફ્રાન્સિસ્કોએ કહ્યું કે, ‘પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેવો એ એક અદ્ભુત અનુભૂતિ છે. હું પહેલીવાર ભારત આવ્યો છું, હું યોગાભ્યાસ કરું છું અને મુક્તિની શોધમાં છું. અહીં હોવું અદ્ભુત લાગે છે. ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે. ગંગાનું પાણી ખૂબ ઠંડું હતું પરંતુ ડૂબકી માર્યા પછી મારું હૃદય હૂંફથી ભરાઈ ગયું.’
સ્પેનથી આવેલા અન્ય એક ભક્તે કહ્યું કે, ‘હું ગંગામાં ડુબકી લગાવ્યા પછી ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. અમારે અહીં સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલના ઘણા મિત્રો છે. અમે આધ્યાત્મિક યાત્રા પર છીએ.’ અન્ય ભક્ત, મૂળ મૈસૂરના અને જર્મન નાગરિક જીતેશ પ્રભાકર પણ વહેલી સવારે તેમની જર્મન પત્ની સાસ્કિયા નોફ અને નવજાત બાળક આદિત્ય સાથે નહાવા માટે મેળામાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ‘હું ભારતમાં રહું કે વિદેશમાં રહું તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરી વાત એ છે કે પોતાના દેશ અને સંસ્કૃતિ સાથે જાેડાયેલા રહેવું જાેઈએ. હું દરરોજ યોગાસન કરું છું. દરેક વ્યક્તિએ પોતાની જમીન અને સંસ્કૃતિ સાથે જાેડાયેલા રહેવું જાેઈએ અને હંમેશા પોતાની અંદર યાત્રા કરવાનો પ્રયાસ કરવો જાેઈએ.’ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી પ્રયાગરાજ આવેલા એક ભક્તે કહ્યું, ‘તે ખૂબ જ સુંદર છે. અહીંના રસ્તા સ્વચ્છ છે, લોકો ખૂબ મૈત્રીપૂર્ણ અને ખુશ છે. અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ.