Last Updated on by Sampurna Samachar
આધ્યાત્મિક ગુરુ રવિશંકરનુ નશાના દલદલમાં ફસાયેલા યુવાનોને સંદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના ૫૦ કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં હરિયાણાના જીંદના સેક્ટર ૭ માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ રવિશંકરે હાજરી આપી હતી અને આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી છે.
રવિશંકરે કહ્યું કે, માત્ર ડૂબકી લગાવવાથી મોક્ષ નથી મળતો. મોક્ષ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. કુંભમાં આવતા ઋષિ-મુનિઓ પાસેથી જ્ઞાન લો અને તમારું જીવન સુધારો. કુંભમાં સરકાર અને પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
આધ્યાત્મિક ગુરુ રવિશંકરે ખાપ પંચાયતોને દરેક ગામને ડ્રગ્સથી બચાવવા માટે અભિયાન ચલાવવા માટે કહ્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, ડ્રગ્સનું સેવન કરતા લોકોને યોગ સાથે જોડો અને ડ્રગ્સ વેચનારાઓ વિશે પોલીસને જાણ કરો. ગુરુ રવિશંકરે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.
ખાપના અભિયાનને સમર્થન આપતાં રવિશંકર મહારાજે કહ્યું કે, લગ્ન એક ગામ અને એક કુળમાં ન થવા જોઈએ. જાતિને બચાવવા માટે આ કરવું જરૂરી છે. તેથી હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવો જોઈએ. આ રૂઢિચુસ્તતા નથી પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર છે.