જાણીતા હેર સ્ટાયલીસ્ટ જાવેદ હબીબ પર લુકઆઉટ નોટિસ જાહેર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આ આખો મામલો બે વર્ષ જૂનો હોવાની માહીતી

હબીબ સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ અત્યાર સુધીમાં ૨૦ FIR નોંધાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

દેશભરમાં ૯૦૦થી વધુ સલૂન અને એકેડમીઓ ધરાવતા જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ હાલમાં કોઈ ફેશન શોને લીધે નહીં પરંતુ મોટા ઠગાઈના કેસને લઈને ચર્ચામાં છે. સંભલ પોલીસે તેમના પુત્ર અનસ હબીબ સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ અત્યાર સુધીમાં ૨૦ FIR નોંધી છે. આરોપ છે કે તેમણે ૧૦૦થી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસે દિલ્હી-મુંબઈના ઠેકાણાઓ પર દરોડાની તૈયારી શરૂ કરી છે, જ્યારે પરિવાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર થઈ ચૂકી છે.

પોલીસ તપાસ મુજબ, આ આખો મામલો બે વર્ષ જૂનો છે. વર્ષ ૨૦૨૩માં સંભલના સરાયતરીન વિસ્તારમાં આવેલા રોયલ પેલેસ વેંકટ હોલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન FLC ના નામથી થયું હતું. સ્ટેજ પર ખુદ જાવેદ હબીબ અને તેમના પુત્ર અનસ હબીબ હાજર હતા.

જો જરૂર પડી, તો સંપત્તિ જપ્ત કરવામાં આવશે

ત્યાં હાજર આશરે ૧૫૦ લોકોને ૫૦ થી ૭૫ ટકા નફાની લાલચ આપીને કંપનીમાં રોકાણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ વાયદાઓ પર વિશ્વાસ કરીને ૧૦૦થી વધુ લોકોએ ૫ થી ૭ લાખ સુધીની રકમ બાઇનાન્સ કોઇન અને બિટકોઇનના નામે જમા કરાવી દીધી. જાેકે, થોડા જ મહિનામાં કંપની ગાયબ થઈ ગઈ.

રોકાણ કર્યાના એક વર્ષ પછી પણ રોકાણકારોને કોઈ નફો ન મળતાં તેમણે કંપનીની ઓફિસ અને હબીબ સલૂનના ચક્કર લગાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે રકમ પાછી માગી, ત્યારે સ્થાનિક પ્રભારી સૈફુલ્લાહએ ટાળવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ કંપનીનું શટર ડાઉન કરી દેવાયું અને જાવેદ હબીબ તેમના પરિવાર સાથે ફરાર થઈ ગયા. સંભલ ખાતેની તેમની ઓફિસને તાળું લાગી ગયું છે.

શરૂઆતમાં રાયસત્તી પોલીસ સ્ટેશનમાં હિલાલ, રેહાન, અમાન, માજિદ હુસૈન અને મોહમ્મદ નઈમ સહિતના પીડિતોએ જાવેદ હબીબ સામે લાખોની ઠગાઈનો કેસ નોંધાવ્યો.

એસપી કે.કે. બિશ્નોઈએ પીડિતોને મળીને રકમ પાછી અપાવવાની ખાતરી આપી. પોલીસે તપાસનો દાયરો વધારતાં સામે આવ્યું કે આ કૌભાંડમાં ૧૦૦થી વધુ પીડિતો છે. ફરિયાદ વધતાં ૧૯ નવા કેસ નોંધાયા.

અત્યાર સુધીમાં જાવેદ હબીબ, પુત્ર અનસ હબીબ, પત્ની અને કંપનીના વડા સૈફુલ્લાહ પર કુલ ૨૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. સંભલ પોલીસે તેમના પર ઠગાઈ (કલમ ૪૨૦) અને ગુનાહિત ધમકી (કલમ ૫૦૬) હેઠળ કેસ નોંધ્યા છે. પોલીસ મુજબ, આ એક સૂનિયોજિત ઠગાઈ નેટવર્ક છે. કેટલાક રોકાણકારોએ પૈસા પાછા માગતા તેમને ધમકાવવામાં આવ્યા હોવાનું નિવેદન આપ્યું છે.

પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે: FLC કંપનીના સ્થાપક તરીકે જાવેદ હબીબની પત્નીનું નામ નોંધાયેલું છે, જે દર્શાવે છે કે આ ઠગાઈ પારિવારિક સ્તરે આયોજનબદ્ધ હતી. સંભલ પોલીસને શંકા છે કે કાયદાનો સકંજો કસાય તે પહેલાં હબીબ પરિવાર દેશ છોડવાની તૈયારીમાં હતો, તેથી તેમના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

એસપી બિશ્નોઈના કહેવા મુજબ, તેમના તમામ બેન્ક ખાતાઓ અને સંપત્તિઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.સંભલ પોલીસ ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈના ઠેકાણાઓ પર જઈને ઠગાઈના પૈસાના ટ્રાન્સફર અને રોકાણની તપાસ કરશે. વરિષ્ઠ અધિકારીના મતે, આ કૌભાંડમાં જાવેદ હબીબની બ્રાન્ડ વેલ્યુનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેવાયા, જે તેમના માટે નુકસાનકારક સાબિત થયો.

ઠગાઈનો ભોગ બનેલા રોકાણકારો હવે ખુલ્લેઆમ હબીબ પરિવાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એક સંભલ નિવાસીએ કહ્યું કે તેમણે જીવનભરની કમાણી લગાવી હતી, પણ હવે બધું બરબાદ થઈ ગયું છે. તેમને જાવેદ હબીબ જેવા મોટા નામ પર શંકા નહોતી.

સંભલ પોલીસ હવે આ કેસને માત્ર ઠગાઈ જ નહીં, પરંતુ મલ્ટી-લેયર ફ્રોડ સ્કીમ માની રહી છે. તપાસ અધિકારીઓ મુજબ, હબીબ પરિવારે ઠગાઈના પૈસા અલગ-અલગ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા છે. એસપી બિશ્નોઈએ કહ્યું, ‘અમારી ટીમો ડિજિટલ ટ્રાન્ઝેક્શન, બેન્ક સ્ટેટમેન્ટ અને બિટકોઇન ટ્રેલ્સની તપાસ કરી રહી છે. જો જરૂર પડી, તો સંપત્તિ જપ્ત કરવામાં આવશે.‘

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.