Last Updated on by Sampurna Samachar
સંસદના સભ્યોના વેતન, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કરાયો
સાંસદના પગાર પર કોઈ ટેક્સ લાગતો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે સંસદના સભ્યો અને પૂર્વ સભ્યોના વેતન, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે ૧ એપ્રિલ, ૨૦૨૩ થી આ સંશોધિત વેતન લાગૂ થશે. મોદી સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખતા સંસદ સભ્યોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ ૧૯૫૪ હેછળ વેતન અને પેન્શનમાં સંશોધન કર્યું છે.

હવે વેતન અને ભથ્થાની વાત કરવામાં આવે તો પહેલા સંસદ સભ્યોને વેતન ૧,૦૦,૦૦૦ રૂપિયા મળતા હતા તે વધારી ૧.૨૪ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આ રીતે દૈનિક ભથ્થામાં પણ વધારો થયો છે. દૈનિક ભથ્થું ૨૦૦૦ રૂપિયાથી વધી ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. સંસદના સભ્યો અને પૂર્વ સભ્યો માટે માસિક પેન્શન ૨૫૦૦૦ રૂપિયાથી વધારી ૩૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં એડિશનલ પેન્શન પહેલા ૨૦૦૦ રૂપિયા દર મહિને હતું, જેને વધારી ૨૫૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
૫૪૩ લોકસભા સાંસદ, ૨૪૫ રાજ્યસભા સાંસદ ફાયદો થશે
આ સંશોધન સંસદના ચાલૂ બજેટ સત્ર દરમિયાન કરવામાં આવ્યું છે. સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ ૨૦૧૮માં ફેરફાર થયો હતો. આ વધારાથી રાજકોષ પર નાણાકીય અસર પડવાની સંભાવના છે, કારણ કે ૫૪૩ લોકસભા સાંસદ, ૨૪૫ રાજ્યસભા સાંસદ અને ઘણા પૂર્વ સાંસદ છે જેને વધેલા પેન્શનનો ફાયદો મળશે.
વેતન અને ભથ્થા સિવાય સેવારત સાંસદોને ઘણી સુવિધાનો ફાયદો મળે છે. સાંસદોને પોતાના સંસદીય ક્ષેત્રમાં કામ કરવા માટે ૭૦,૦૦૦ રૂપિયા દર મહિને સંસદીય ભથ્થું મળે છે અને ઓફિસ ખર્ચ માટે ૬૦,૦૦૦ રૂપિયા મળે છે. તેમાં કર્મચારીઓનું વેતન, ફોન અને સ્ટેશનરી સામેલ છે.
સાંસદોને પોતાના અને પોતાના પરિવાર માટે દર વર્ષે ૩૪ ફ્રી હવાઈ યાત્રા કરવાનો પણ ફાયદો મળે છે. સાથે કેટલીક જગ્યાએ ભાડા વગર આવાસ પણ મળે છે. જે લોકો સત્તાવાર આવાસ લેવા ઈચ્છતા નથી, તે ૨ લાખ રૂપિયા માસિક આવાસ ભથ્થાનો દાવો કરી શકે છે. આ સિવાય પણ સાંસદોને અન્ય લાભ મળે છે. તેમાં ૫૦ હજાર યુનિટ ફ્રી વીજળી, પરિવારના સભ્યો માટે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય કવરેજ સામેલ છે.
સંસદીય બાબતોના મંત્રાલયે કહ્યું કે સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં આ વધારો ૧ એપ્રિલ, ૨૦૨૩થી લાગુ થશે.
આ ફેરફારો સંસદના સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા છે અને તે આવકવેરા અધિનિયમ, ૧૯૬૧માં નિર્દિષ્ટ ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે. પગાર, મતવિસ્તાર અને કાર્યાલય ભથ્થા સહિત, વર્તમાન સાંસદોને હવે દર મહિને કુલ ૨,૫૪,૦૦૦ રૂપિયાનો પગાર મળશે. તમને જણાવી દઈએ કે સાંસદોને ગૃહના ચાલુ સત્ર દરમિયાન દૈનિક ભથ્થું મળે છે.
આપને જણાવી દઈએ કે, સાંસદના પગાર પર કોઈ ટેક્સ લાગતો નથી. તો તેમને અલગ-અલગ પ્રકારના ભથ્થા આપવામાં આવે છે, જેમાંથી ઘણી સુવિધાઓ તેમના પરિવારજનો માટે પણ હોય છે. જેમ કે, સાસંદના જીવનસાથી માટે ૩૪ મફત હવાઈ મુસાફરી, અનલિમિટેડ ટ્રેન મુસાફરી અને સંસદ સત્ર દરમિયાન ઘરથી દિલ્હી સુધી વાર્ષિક ૮ હવાઈ મુસાફરીનો સમાવેશ થાય છે.
ભથ્થાને લગતી બાબતોની વાત કરીએ તો એક સાંસદને ૫૦ હજાર યુનિટ મફત વીજળી, ૧ લાખ ૭૦ હજાર મફત કોલ્સ, ૪૦ લાખ લિટર પાણી, રહેવા માટે સરકારી બંગલો (જેમાં તમામ ફર્નિચર અને એર-કંડિશનરનો સમાવેશ થાય છે, અને તેનું મેન્ટેનન્સ પણ મફત છે) મળે છે. આ ઉપરાંત તેમને સુરક્ષા ગાર્ડ, આજીવન પેન્શન, જીવન વીમો અને સરકારી ગાડી સરકાર તરફથી સાંસદોને આપવામાં આવે છે.