Last Updated on by Sampurna Samachar
બચાવ ટીમ ફસાયેલા લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહી
રાજ્યના આબકારી મંત્રીએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણામાં એક અઠવાડિયા પહેલા ધરાશાયી થયેલી SLBC ટનલમાં હજી બચાવ કામગીરી ચાલુ છે. જેમાં એક અઠવાડિયા બાદ અંદર ફસાયેલા આઠ લોકોમાંથી ચાર લોકોના લોકેશન જાણવામાં સફળતા મળી છે. ખૂબ જ કાદવ-કીચડ તેમજ કાટમાળના કારણે બચાવ ટીમ ફસાયેલા લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. તેણે અનેક મણ કાટમાળ-કીચડ બહાર કાઢ્યો છે. ટનલના બાંધકામમાં નુકસાનગ્રસ્ત કન્વેયર બેલ્ટ રિપેર થઈ જવાની શક્યતા છે. ત્યારબાદ બચાવ ટીમ વધુ ઝડપથી અને સરળતાથી કાટમાળ હટાવી શકશે.
રાજ્યના આબકારી મંત્રી જુપલ્લી કૃષ્ણરાવે માહિતી આપી હતી કે, ‘ટનલની અંદર ફસાયેલા આઠ લોકોમાંથી ચાર લોકોના લોકેશન મળી ગયા છે. બચાવ ટીમ તુરંત તે દિશામાં આગળ વધી રહી છે. જોકે, ટનલમાં ફસાયેલા લોકોની બચવાની અપેક્ષા ખૂબ ઓછી છે. તેમ છતાં અમે છેક સુધી પ્રયાસ કરતા રહીશું.
મેં સિંચાઈ મંત્રી એન. ઉત્તમકુમાર રેડ્ડી સાથે મળી બચાવ અભિયાનમાં સામેલ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બચાવ કામગીરીમાં પ્રગતિ જોવા મળી છે. રડાર મારફત ચાર લોકોના લોકેશન મળી આવ્યા હતા.
વિપક્ષે કરી ટીકા
નેશનલ જિઓફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ ગ્રાઉન્ડ પેનેટ્રેટીંગ રડારની મદદથી મહત્ત્વપૂર્ણ લોકેશન મેળવ્યું છે. અન્ય ચાર લોકો પણ ટનલ બોરિંગ મશીનની નીચે ફસાયેલા હોવાનો અંદાજ છે. કૃષ્ણરાવે જણાવ્યું હતું કે, ૪૫૦ ફૂટ ઊંચી ટીબીએમને કાપી રહ્યા છે. આ અભિયાનમાં ૧૧ એજન્સીઓના કર્મી સામેલ છે. અભિયાનમાં વિલંબ થતાં વિપક્ષ ટીકાઓ કરી રહ્યું છે. પરંતુ આ પ્રયાસમાં નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. અંદર ખૂબ જ કાદવ હોવાથી બચાવ કામગીરી જટિલ બની છે.
તેલંગાણામાં બની રહેલી શ્રીશૈલમ લેફ્ટ બેન્ક કેનાલ (એસએલબીસી) ટનલની છત ૨૨ ફેબ્રુઆરીએ ધરાશાયી થઈ હતી. જેની નીચે આઠ લોકો ફસાયા હતા. ટનલ ધરાશાયી થઈ ત્યારે ૫૦ લોકો અંદર કામ કરી રહ્યા હતાં. પરંતુ ધરાશાયી થતાં જ ૪૨ લોકો બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે આઠ લોકો અંદર ફસાયા હતાં.