Last Updated on by Sampurna Samachar
લંડનમાં દેખાવો કરતાં હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા
હિન્દુ સંગઠનનાં શાંતિપુર્ણ પ્રદશનમાં કર્યો ભંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યા અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. લંડન સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર જ્યારે હિન્દુ સમુદાય શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યો હતો, ત્યારે ખાલિસ્તાની અલગતાવાદીઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવતા ભારે તણાવ સર્જાયો હતો.

બાંગ્લાદેશમાં તાજેતરમાં દીપુ ચંદ્ર દાસ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં લંડનમાં વસતા બાંગ્લાદેશી હિન્દુઓએ એકઠા થઈને દેખાવો કર્યા હતા. તેમની મુખ્ય માંગણીઓ હતી કે, દીપુ દાસના હત્યારાઓને તાત્કાલિક કડક સજા થાય. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. હિન્દુ મંદિરો અને મિલકતો પર થતા હુમલા બંધ થાય.
ખાલિસ્તાનીઓએ હિન્દુ સંગઠનનાં શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડી
આશ્ચર્યજનક રીતે, જ્યારે હિન્દુઓ ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે ખાલિસ્તાની સમર્થકોનું એક જૂથ ત્યાં પહોંચી ગયું હતું.
આ જૂથ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળાની સરકારના બચાવમાં ઢાલ બનીને ઊભું રહ્યું હતું. ખાલિસ્તાનીઓએ હિન્દુ દેખાવકારોને ડરાવવાનો પ્રયાસ કર્યો અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને વણસતી જોઈ લંડન પોલીસે તુરંત દરમિયાનગીરી કરી બંને જૂથો વચ્ચે માનવ સાંકળ બનાવી શાંતિ જાળવી હતી.
આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ભારત વિરોધી શક્તિઓ વચ્ચે વધતા જોડાણ તરફ ઈશારો કર્યો છે. શીખ ફોર જસ્ટિસના આતંકવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં જ અમેરિકાથી એક વીડિયો જાહેર કરીને બાંગ્લાદેશના ઉગ્રવાદીઓને ખુલ્લું સમર્થન આપ્યું હતું. હવે લંડનમાં ખાલિસ્તાનીઓનું બાંગ્લાદેશ સરકારના સમર્થનમાં ઉતરવું એ આ જાેડાણને વધુ સ્પષ્ટ કરે છે.
હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે ખાલિસ્તાનીઓ જાણીજોઈને તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. લંડન પોલીસ અત્યારે આ મામલે સતર્ક છે અને હાઈ કમિશનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.