Last Updated on by Sampurna Samachar
ગેરકાયદેસર બાંધકામ અંગે CVC માં ફરિયાદ નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. પહેલા દિલ્હીમાં પોતાની બેઠક સાથે સત્તા ગુમાવી દીધી અને હવે ‘શીશ મહેલ’ની ઘટના તેને પરેશાન કરી રહી છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) ને ૬, ફ્લેગસ્ટાફ રોડ, સિવિલ લાઇન્સ ખાતે આવેલા ‘શીશ મહેલ’ના નવીનીકરણ અને વિસ્તરણ દરમિયાન બાંધકામના ધોરણોનું ઉલ્લંઘન થયાના આરોપોની વિગતવાર તપાસ કરવાનો ર્નિદેશ આપ્યો છે.
જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ૪૦૦૦૦ ચોરસ યાર્ડ એટલે કે ૮ એકરમાં વૈભવી બંગલાના નિર્માણ માટે મકાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ૧૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ અરવિંદ કેજરીવાલના પૂર્વ નિવાસસ્થાન પર ગેરકાયદેસર બાંધકામ અંગે CVC માં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે CPWD દ્વારા અરવિંદ કેજરીવાલના સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાન અંગે તથ્યપૂર્ણ અહેવાલ રજૂ કર્યા બાદ CVC એ ૧૩ ફેબ્રુઆરીએ તપાસનો આદેશ આપ્યો હતો.આ તપાસ ભાજપ તરફથી વધી રહેલા રાજકીય દબાણ વચ્ચે થઈ રહી છે.
થોડા દિવસ પહેલા દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ અગાઉ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને પત્ર લખીને ચાર સરકારી મિલકતોના વિલીનીકરણને રદ કરવા વિનંતી કરી હતી. સચદેવાએ આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાનને અડીને આવેલી સરકારી મિલકતોનો સમાવેશ કરીને ગેરકાયદેસર રીતે વિસ્તૃત કરવામાં આવ્યું છે, જે મ્યુનિસિપલ અને જમીન ઉપયોગના નિયમોનું ઉલ્લંઘન કરે છે.