Last Updated on by Sampurna Samachar
ટ્રકને અકસ્માત નડતાં ચીસાચીસ મચી ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં એક ટ્રકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૧૦ લોકો મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના અરેબૈલ અને ગુલ્લાપુરા વચ્ચે નેશનલ હાઈવે નંબર ૬૩ પર યેલ્લાપુર નજીક સર્જાઈ હતી.
આ મામલે પોલીસ અધીક્ષક નારાયણ એમ.એ જણાવ્યું કે પીડિત લોકો શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમટા બજાર જઇ રહ્યા હતા. ટ્રકમાં ફળ-શાકભાજીનો જથ્થો હતો અને તેમાં ૩૦થી વધુ મુસાફરી પણ કરી રહ્યા. જોકે આ ટ્રકને અકસ્માત નડતાં ચીસાચીસ મચી ગઈ હતી.
માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ લહેરાઈ ગયો હતો અને ૫૦ મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં ૮ લોકોના મોતની પુષ્ટી થઇ હતી પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને ૧૦ પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.