Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં ૯ વર્ષમાં ૧૨૯૫ પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક
છેલ્લાં ૯ વર્ષમાં અમદાવાદમાં ૧૨૯૫ પાકિસ્તાની લઘુમતીઓ ભારતની નાગરિકતા મેળવી સત્તાવાર રીતે દેશના નાગરિક બન્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત–પાકિસ્તાનના ભાગલા સમયે મોટી સંખ્યામાં પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ સિંધુથી સાબરમતીની સફર ખેડી અમદાવાદ આવ્યા હતા. જો કે, ૭૮ વર્ષથી સતત આ સફર ચાલતી આવી છે. ભારતના નાગરિક બનવામાટે દર વર્ષે અમદાવાદમાં રહેતા ૧૫૦ જેટલા પાકિસ્તાની લઘુમતીઓ દ્વારા અરજી કરવામાં આવે છે.

આમછેલ્લાં ૯ વર્ષમાં અમદાવાદમાં ૧૨૯૫ પાકિસ્તાની લઘુમતીઓ ભારતની નાગરિકતા મેળવી સત્તાવાર રીતે દેશનાનાગરિક બન્યા છે.આઝાદીના ૭૮ વર્ષ બાદ આજે પણ કેટલાક પાકિસ્તાનીઓ લગ્ન કરીને તથા સતામણીથીબચવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતમાં આવીને સ્થાયી થઈ રહ્યા છે.
ભારતના નાગરિક બનવા માટે અરજી કરાઈ હતી
ત્યારે મળતી વિગતો અનુસાર, છેલ્લાં દસેક વર્ષમાં પાકિસ્તાન છોડી અમદાવાદમાં સ્થાયી થયેલા ૨૦૪૯ લોકો દ્વારા ભારતના નાગરિક બનવા માટે અરજી કરાઈ હતી. જેમાંથી અત્યાર સુધી ૧૨૯૫ પાકિસ્તાની હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકતા આપવામાં આવી છે.
હાલ મેઘાણીનગર, સરદારનગર, બાપુનગર, નરોડા વગેરે વિસ્તારોમાં મુખ્યત્વે આવા પાકિસ્તાની હિન્દુ પરિવારો વસવાટ કરી રહ્યાછે. આ સિવાય ૫૦૦થી ૭૦૦ જેટલી અરજી પેન્ડિંગ તથા પ્રોસેસમાં છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ દ્વારા અમદાવાદમાં નહિવત અરજી કરાય છે. ઓનલાઇન અરજી કર્યાં બાદ પુરાવા રજૂ કરી કલેક્ટર દ્વારા અરજદારને રાજનિષ્ઠાના શપથ લેવડાવવામાં આવે છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય આઈબી દ્વારા અરજદારની તપાસ કરાય છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ૬–૮મહિના લાગી જાયછે.સામાન્ય રીતે ગૃહ વિભાગ દ્વારા વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા કરાય છે. જો કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી જૂથના લોકોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા અપાઈ હતી.
તેમજ વર્ષ ૨૦૧૯માં નાગરિકતા સુધારા કાયદા દ્વારા આ ત્રણેય દેશના વર્ષ ૨૦૧૪પહેલાં ભારતમાં આવેલા હિન્દુ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકો માટે નાગરિકતાનાનિયમોમાં ફેરફાર કરી રેસિડેન્સી પીરિયડ ૧૧ વર્ષથી ઘટાડી પાંચ વર્ષ કરી દેવાયો હતો. જેથી જિલ્લા કક્ષાએઆખું વર્ષ હવે નાગરિકતાની અરજી આવતી રહે છે