Last Updated on by Sampurna Samachar
કોલંબિયા જેવો દેશ અમેરિકાને લાલ આંખ બતાવી શકે તો આપણે કેમ નહીં ? વિપક્ષે પૂછ્યો સવાલ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ માંગવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. જેને લઇને સંસદની બહાર વિપક્ષી સાંસદો હાથકડી પહેરીને વિરોધ કરી રહ્યા હતા ત્યારે જયશંકરે વડાપ્રધાન સાથે બેઠક બાદ સંસદમાં નિવેદન આપ્યું હતું.
વિદેશમંત્રીએ કહ્યું હતું, કે પહેલા પણ ગેરકાયદેસર ઘૂસેલા લોકોને સ્વદેશ પરત કરવામાં આવ્યા હતા. તમામ દેશોની જવાબદારી છે કે ગેરકાયદે નાગરિકોને પરત સ્વીકારે. કોઈ પણ દેશથી ગેરકાયદે ભારતીયોને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા ૨૦૦૯થી ચાલી રહી છે. ૨૦૧૨થી સરકારી વિમાનમાં લોકોને ભારત મોકલવામાં આવે છે.
સાંસદોએ જાણવું જરૂરી છે કે ડિપોર્ટેશન કોઈ નવી વાત નથી, આવું પહેલા પણ થતું રહ્યું છે. ૨૦૦૯માં ૭૪૭ ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. દરેક દેશમાં નાગરિકતાને લઈને તપાસ થાય છે. ૨૦૧૨થી જ મિલીટરી પ્લેનથી આવા લોકોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જયશંકરે માઇગ્રેશન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સંધિનો પણ ઉલ્લેખ કર્યો. જેથી કાયદેસર રીતે જતાં લોકોને પ્રોત્સાહન મળે અને ઘુસણખોરી રોકી શકાય.
રણદીપ સુરજેવાલાએ વિદેશમંત્રીના નિવેદન બાદ રાજ્યસભામાં સરકારને સવાલ પૂછતાં કહ્યું હતું, કે શું સરકારને જાણ હતી કે આ લોકોને પરત મોકલવામાં આવશે? કઈ રીતે મોકલવામાં આવશે? શું સરકારને જાણ છે કે અમેરિકામાં કેટલા ભારતીયો ગેરકાયદે રહે છે. જો કોલંબિયા જેવો દેશ અમેરિકાને લાલ આંખ બતાવી શકે તો આપણે કેમ નહીં ?
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતું, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ટ્રમ્પની મિત્રતાના વખાણ કરે છે. હાથકડી અને સાંકળ બાંધીને ભારતીયોને લાવવામાં આવ્યા. ભારતની ધરા પર ઉતર્યા બાદ પણ તેમને સન્માન આપવામાં આવ્યું નહીં. હરિયાણા લોકોને તો કેદી વાનમાં બેસાડીને લઈ ગયા. નાના દેશો પોતાના વિમાન મોકલીને નાગરિકોને લાવી શકે તો તમે કેમ આવી કોઈ યોજના ન બનાવી? અમેરિકાની સેનાનું વિમાન આપણી ધરતી પર આવ્યું અને તમને ખબર પણ ન પડી?
વિપક્ષી સાંસદોના સવાલ બાદ વિદેશમંત્રી એસ. જયશંકર ફરી જવાબ આપવા માટે ઊભા થયા. તેમણે કહ્યું હતું, કે ૧૦૪ ભારતીયોની વતન વાપસીની અમને જાણકારી હતી. અમને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. અમે તંત્રને નિર્દેશ આપ્યા છે કે જેટલા લોકો પરત આવ્યા છે તે દરેક એક એક વ્યક્તિ સાથે બેસીને વાત કરે કે તેઓ કેમ અમેરિકા ગયા? ડિપોર્ટેશનમાં મિલીટરી એરક્રાફ્ટ હોય કે ચાર્ટર્ડ પ્લેન હોય, પ્રક્રિયા તો એ જ રહે છે. જ્યાં સુધી સંપત્તિનો સવાલ છે, તેમની કોઈ સંપત્તિ નહોતી. જો તેમની પાસે કશું હશે તો જોઈશું.